। અમદાવાદ ।
રાજ્યસભાની ચૂંટણી પહેલાં જ રૂ. ૬૫ કરોડમાં વેચાયેલા કોંગ્રેસના ધારાસભ્યો મામલે સોમવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર શાબ્દિક તડાફડી થઈ હતી. પ્રશ્નોત્તરીમાં પહેલો જ સવાલ કોંગી ધારાસભ્ય પ્રવીણ મારૂનો હતો ત્યારે વિપક્ષના ધારાસભ્યોએ ‘માલ વેચાઈ ગયો છે’ તેવી બૂમો પાડી હતી, એટલું જ નહિ પરંતુ કેટલાક કોંગી ધારાસભ્યોએ ભાજપના મંત્રીઓને કહ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યોનો ખરીદ-વેચાણ સંઘ હવે બંધ કરો. આ આક્ષેપોથી ગૃહમાં મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ-ભાજપના ધારાસભ્યો સમસમી ઊઠયા હતા અને હોહા મચાવી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા, જોકે અધ્યક્ષે આમાં ભાજપને કંઈ નુકસાન થયું નથી તેમ કહી તમામને બેસાડી દીધા હતા, ત્યાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવો દાવો કર્યો કે, તમારા કોંગ્રેસના ધારાસભ્યો ગણી લેજો, કોંગ્રેસમાંથી હજુ ઘણા ધારાસભ્યો સામે ચાલીને આવવા તૈયાર છે. એકંદરે ગૃહમાં વેચાઈ ગયેલા કોંગ્રેસના ધારાસભ્યો મામલે હોબાળો મચી ગયો હતો.
ધારાસભ્યોના ખરીદ-વેચાણના આક્ષેપથી અકળાયેલા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એવું બોલ્યા કે, માલ વેચાઈ ગયો એ કહેવું ધારાસભ્યનું અપમાન છે, કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે શું કર્યું હતું તે ખબર નથી? અને અત્યારે ભાજપને શીખામણ આપે છે. ગૃહમાં ભાજપ-કોંગ્રેસના સભ્યોની ભારે હોહા વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસ પહેલાં તો તેમના ધારાસભ્યોને સાચવી શકતી નથી અને અમારી ઉપર ખોટા આક્ષેપો કરે છે. આ જ કોંગ્રેસ થોડાક દિવસ પહેલાં કહેતી હતી કે, નીતિનભાઈ-તમે ૧૫ ધારાસભ્યો કોંગ્રેસમાં લઈ આવો પણ તમે તમારું ગોઠવો, અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી. ધારાસભ્યોના રાજીનામા પર પસ્તાળ પડી ત્યારે અધ્યક્ષે રાજીનામા સ્વીકારવા એ મારી ફરજ છે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસમાં તાકાત નથી કે પોતાના ધારાસભ્યોને સાચવી શકે તો અમારી પર શું કામ આક્ષેપો કરો છો. આ કોંગ્રેસની વીરજીભાઈ મને કહેતાં હતા કે, ૧૫ ધારાસભ્યો લઈ આવો, ત્યારે કેમ ઉત્તેજન આપતાં હતા અને હવે પગ નીચે રેલો આવ્યો છે ત્યારે કેમ ગભરાઈ ગયા છો. ધારાસભ્યો મામલે આક્ષેપો કરો છો તેની સાબિતી કરો. તૂર્ત જ કોંગી ઉપનેતા શૈલેષ પરમારે કહ્યું કે, સાબિતી માટે બહાર જવાની જરૂર નથી, કુંવરજી બાવળિયા અને હકુભા અહીંયા બેઠા છે, તમારા ભાજપના અધ્યક્ષ બાંગારૂ લક્ષ્મણ લોકસભામાં નોટોના બંડલ સાથે ઝડપાયા હતા. આ ગરમા-ગરમીમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે, કુંવરજી સહિતના મંત્રીને લાલચ આપીને લાવ્યા નથી, પાછળથી મંત્રી બનાવ્યા છે.
‘ઘરના બંદરને પૂરી રાખો છો અંદર અને પારકાંને ચૂકવ્યા પંદર પંદર’
ધારાસભ્યોના ખરીદ-વેચાણની ચર્ચામાં ઝંપલાવતાં પરેશ ધાનાણીએ કહ્યું કે, અંધારી રાતે ધારાસભ્યોને ગુલાબી નોટાના ત્રાજવે વજનની ભારોભાર તોળી અને મુખ્યમંત્રીના બંગલે લોકશાહીનું ખરીદ વેચાણ થઈ રહ્યું ત્યારે મંત્રીઓ લોકશાહીના વસ્ત્રાહરણને શું કામે નજરે નિહાળી રહ્યા હશે? , ઘરના બંદરને પૂરી રાખો છો અંદર, અને પારકાંને ચુકવ્યા પંદર પંદર, બેબસ લોકશાહીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું ત્યારે બુલેટ લઈને ચોરોની ચોકીદારી કરનારી સરકારને હવે, ગુજરાતની પ્રજા ખુદ ઓળખી ગઈ છે.
ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યો બાદ વધુ એક ધારાસભ્યે રાજીનામું ધરી દીધું
રાજ્યસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસના ચાર ધારાસભ્યોના રાજીનામા બાદ વધુ એક ધારાસભ્યનું રાજીનામું પડયું છે. હવે પાંચમા ધારાસભ્ય મંગળ ગાવિતે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતાં કોંગ્રેસને ફટકો પડયો છે, ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે અધ્યક્ષે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના રાજીનામાની જાહેરાત કરી હતી, અધ્યક્ષે કહ્યું કે, ગઢડાના પ્રવીણ મારૂ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે.વી. કાકડિયા, લીંબડીના સોમા ગાંડા પટેલ અને ડાંગના મંગળ ગાવિતના રાજીનામાં તેમને મળ્યા છે અને આ રાજીનામાનો મેં સ્વીકાર કર્યો છે. આ સાથે જ આ પાંચે ધારાસભ્યોના રાજીનામાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવતાં વિધાનસભામાં હાલની બેઠકો ૧૮૨થી ઘટીને ૧૭૫ થઈ ગઈ છે. આમ હવે આગામી છ મહિનામાં આ ખાલી પડેલી બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાશે. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૭૩થી ઘટીને હવે ૬૮ પર પહોંચી ગયું છે. અધ્યક્ષે જાહેર કર્યું હતું કે, ચાર ધારાસભ્યોના રાજીનામા તેમને ૧૪મી માર્ચે મળ્યા હતા જ્યારે મંગળ ગાવિતનું રાજીનામું ૧૫મી માર્ચે મળ્યું હતું. બીજી તરફ ડેમેજ કંટ્રોલમાં સાવ નાકામ રહેલી ગુજરાત કોંગ્રેસે પણ પાંચેય બગાવતખોર ધારાસભ્યોને પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે.
CM બંગલે ૪ MLAનો ૬૫ કરોડમાં સોદો પડયો : કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગૃહમાં કહ્યું કે, મુખ્યમંત્રી થોડાક દિવસ પહેલાં કહેતાં હતા કે, અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી, પરંતુ અહેવાલો એવા આવ્યા છે કે, ૪ ધારાસભ્યોનો રૂ.૬૫ કરોડમાં સોદો પડયો છે. આ સોદો મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે થયો છે તો પછી આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા? મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી.
‘હમેં તો અપનોને લૂંટા, ગેરો મેં કહા દમ થા’
પ્રશ્નોત્તરી દરમિયાન કોંગી ધારાસભ્યે પોતાના પક્ષના ધારાસભ્યોના રાજીનામાને લઈ શાયરી ટાંકી કે, ‘હમેં તો અપનોને લૂંટા, ગેરો મેં કહા દમ થા, હમારી કશ્તી વહીં ડૂબી જહાં પાની કમ થા’. અલબત્ત, અધ્યક્ષે શાયરીના જવાબમાં કહ્યું કે, ‘નનામી નીકળે તો જેની સામે મળે તેને શુકન થાય, ને ઘેર ચુડલા ભાંગે’.
ક્રોસ વોટિંગ થવાનો ભાજપનો દાવો
‘સોનું તુજે મુઝ પે ભરોંસા નહિ કે, નહિ કે’ જેવી કોંગ્રેસની હાલત થઈ ગઈ હોવાનો ટોણો મારી ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ ગૃહમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થવાનું છે, કોંગ્રેસ હારવાની છે.
કયા ધારાસભ્યોના રાજીનામા પડયા?
૧. પ્રવીણ મારૂ (ગઢડા)
૨. પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા)
૩. જે.વી. કાકડિયા (ધારી)
૪. સોમા ગાંડા પટેલ (લીંબડી)
૫. મંગળ ગાવિત (ડાંગ)