ભારત સરકારે જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય દ્વારા આજે રાજ્યો અને વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતરના બદલામાં બેક-ટુ-બેક ધીરાણ સુવિધા અંતર્ગત રૂ. 75,000 કરોડની રકમ આપવામાં આવી છે.આ રકમ કુલ વાસ્તવિક ઉપકરના એકત્રીકરણમાંથી દર મહિને આપવામાં આવતી GST વળતરની સામાન્ય ચુકવણી ઉપરાંત છે. 28.05.2021ના રોજ યોજવામાં આવેલી GST પરિષદની 43મી બેઠક બાદ,એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કેન્દ્ર સરકાર રૂપિયા 1.59 લાખ કરોડનું ઋણ લેશે અને રાજ્યો તેમજ વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશોને બેક-ટુ-બેક ધોરણે આપશે જેથી વળતરના ભંડોળમાં અપર્યાપ્ત રકમના કારણે તેમના વળતરની ચુકવણીમાં ઉભી થતી અછત પૂરી કરવા માટે સંસાધન અંતરાય પૂરો કરી શકાય.આ રકમ નાણાકીય વર્ષ 2020-21માં અપનાવવામાં આવેલી આવી જ સુવિધાના સિદ્ધાંત અનુસાર છે,જેમાં રાજ્યોને આવી જ વ્યવસ્થા કરવા માટે રૂ. 1.10 લાખ કરોડની રકમ આપવામાં આવી હતી. રૂ. 1.59 લાખ કરોડની આ રકમ આ નાણાકીય વર્ષમાં રાજ્યો/ વિધાનસભા સાથેના કેન્દ્રશાસિત પ્રદેશોને અંદાજે આપવામાં આવનારી રૂપિયા 1 લાખ કરોડની રકમ (ઉપકર એકત્રીકરણના આધારે)ના વળતર સિવાય અને તે ઉપરાંત રહેશે.રૂપિયા 2.59 લાખ કરોડ રૂપિયાની કુલ રકમ નાણાકીય વર્ષ 2021-22માં GST વળતર ઉપાર્જનની રકમ કરતા વધશે તેવી અપેક્ષા છે.
પાત્રતા ધરાવતા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનસભા સાથેના) બેક-ટુ-બેક ધીરાણ સુવિધા અંતર્ગત વળતરની ઉણપના ફંડિંગ માટેની આ વ્યવસ્થા સાથે સંમત થયા છે.કોવિડ-19 મહામારી સામે અસરકારક પ્રતિભાવ અને તેના વ્યવસ્થાપન માટે તેમજ મૂડી ખર્ચમાં એક ડગલું આગળ વધવા માટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવવાની છે.રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને તેમના કાર્યોમાં સહાયતા કરવા માટે,નાણાં મંત્રાલયે નાણાંકીય વર્ષ 2021-22 માટે બેક-ટુ-બેક ધીરાણ સુવિધા અંતર્ગત સહાયતાની ચુકવણી કરી છે જેના માટે આજે રૂપિયા 75,000 કરોડ (આખા વર્ષ માટે કુલ ઉણપમાંથી લગભગ 50%) એક જ હપતામાં આપવામાં આવ્યા છે.બાકીની રકમ 2021-22ના ઉત્તરાર્ધમાં એકધારા હપતામાં ચુકવવામાં આવશે.
આપવામાં આવી રહેલી રૂપિયા 75,000 કરોડની રકમનું ફંડિંગ હવે ભારત સરકારના ઋણમાંથી 5 વર્ષની સિક્યુરિટીમાં કરવામાં આવી રહ્યું,જેમાં વર્તમાન નાણાકીય વર્ષમાં કુલ રૂ. 68,500 કરોડ અને 2 વર્ષ માટે રૂ. 6,500 કરોડની સિક્યુરિટી ઇશ્યુ કરવામાં આવી છે, જે અનુક્રમે વાર્ષિક 5.60 અને 4.25 ટકાની ભારીત સરેરાશ ઉપજ પર છે.
આ રકમ આપવાથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આરોગ્ય માળખાકીય સુવિધાઓ સુધારવા માટે અને અન્ય માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ હાથ ધરવા માટે તેમના જાહેર ખર્ચા તેમજ અન્ય બાબતોનું પૂર્વાયોજન કરવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.

