ગાંધીનગર ,તા.1 ફેબ્રુઆરી 2023,બુધવાર : ગુજરાતના ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે.આવતીકાલ એટલે કે 1લી ફેબ્રુઆરી,2023થી રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
ખેડૂતો 28 દિવસ સુધી રજિસ્ટ્રેશન કરી શકશે
રાજ્યના તમામ જિલ્લાઓમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા 1લી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી,2023 એટલે કે સમગ્ર મહિના દરમિયાન ગ્રામ્યકક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી શરૂ કરવામાં આવશે.ટેકાના ભાવની ખરીદીનો મહત્તમ લાભ લેવા રાજ્યના ખેડૂતોને ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ટેકાના ભાવે તુવેર,રાયડો,ચણાની ખરીદી થશે
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં તુવેર,ચણા અને રાયડા જેવા ખેત પેદાશોની ટેકાના ભાવથી ખરીદી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.હાલમાં તુવેર પાકનો ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૬૬૦૦,ચણાના પાકના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૩૩૫ અને રાયડાના પાકના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.૫૪૫૦ નક્કી કરવામાં આવ્યા છે.