– કમલનાથે ત્રણ દિવસમાં 70 હજાર એકઠા કર્યા
નવી દિલ્હી તા.6 જાન્યુઆરી : અયોધ્યામાં બંધાનારા રામ મંદિર માટે ભાજપ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવી સંસ્થાઓ ફાળો ઊઘરાવે એ તો સમજી શકાય એવી વાત છે.પરંતુ લેટેસ્ટ માહિતી મુજબ કોંગ્રેસ પક્ષ પણ રામ મંદિર માટે ફાળો ઊઘરાવી રહ્યો હતો.મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે એક મહિના પહેલાં અયોધ્યામાં બંધાનારા રામ મંદિરને બિરદાવ્યું હતું.હવે કમલનાથ ઉપરાંત બીજા વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે પણ રામ મંદિરને બિરદાવતાં કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું તો અમારા નેતા અને વડા પ્રધાન રાજીવ ગાંધીનું સ્વપ્ન હતું.
અયોધ્યામાં રામ મંદિરના તાળાં ખોલવાનો આદેશ પણ રાજીવ ગાંધીએ આપ્યો હતો. એ ઇચ્છતા હતા કે અયોધ્યામાં સરસ રામ મંદિર બને.એટલે અમારા કાર્યકરો પણ રામ મંદિર માટે ફાળો ઊઘરાવી રહ્યા હતા.મધ્ય પ્રદેશ કોંગ્રેસના મહા મંત્રી વિવેક ખંડેલવાલે કહ્યું કે અમે માત્ર ત્રણ દિવસમાં 70 હજાર રૂપિયા એકઠા કર્યા હતા. ફાળો ઊઘરાવવાનું અમારું અભિયાન જાન્યુઆરીના અંત સુધી ચાલુ રહેશે.ત્યારપછી અમે અયોધ્યાની યાત્રા કરવા નીકળશું અને ત્યાં રામ મંદિર જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટને અમારો ફાળો સુપરત કરીશું.
ખંડેલવાલે એવો દાવો કર્યો હતો કે અમને કોઇએ ફાળો એકઠો કરવાનું કહ્યું નથી.મેં મારી અંગત જવાબદારી પર આ કામ શરૂ કર્યું હતું.કોંગ્રેસ પક્ષે આ કાર્ય માટે અમને મંજૂરી આપી હતી.મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથજીએ પોતે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં પૂજાપાઠ કર્યા હતા.રાજ્ય કોંગ્રેસના પ્રવક્તા ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે વિવેક ખંડેલવાલની જેમ દરેક વ્યક્તિએ રામ મંદિર માટે ફાળો ઊઘરાવવો જોઇએ.રામ મદિર આપણા સૌનું છે અને ભગવાન રામ આપણા સૌના આરાધ્યદેવ છે.