– રામના નામે મત માગતા ભાજપને રામથી નહીં સત્તાથી પ્રેમ : પૂર્વ મુખ્યમંત્રી
– ચૂંટણી જીતવા માટે ગમે ત્યારે રામ મંદિરનું ઉદ્ધાટન કરશે અને હિન્દુ ખતરામાં હોવાના દાવાનો ખૂબ ઉપયોગ કરશે : એનસી વડા
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરંસના વડા ફારુક અબ્દુલ્લાએ ભગવાન રામને લઇને મોટુ નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું છે કે રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી,રામ તો હિન્દુ ઉપરાંત મુસ્લિમ,ખ્રિસ્તીઓ દરેકના ભગવાન છે.આ સાથે જ તેમણે ભાજપ પર પણ પ્રહારો કર્યા હતા.અને કહ્યું હતું કે ભાજપ માત્ર સત્તામાં રહેવા માટે જ રામના નામનો ઉપયોગ કરે છે.
જમ્મુ કાશ્મીરમાં એક રેલીને સંબોધતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન નથી.આ પ્રકારની માનસિક્તાને પોતાના મગજમાંથી હટાવી દેજો કે ભગવાન રામ માત્ર હિન્દુઓના જ ભગવાન છે.રામ તો દરેકના ભગવાન છે. જે લોકો રામમાં આસ્થા ધરાવે છે તે દરેકના રામ છે.પછી તે હિન્દુ હોય,મુસ્લિમ હોય કે ખ્રિસ્તી હોય અથવા અમેરિકી હોય કે રશિયન. રામ દરેકના છે.
અબ્દુલ્લાએ કહ્યું હતું કે જે લોકો તમારી પાસે એમ કહેતા આવે કે અમે માત્ર રામના જ શિષ્ય છીએ.તેઓ મુર્ખ છે.તેઓ રામના નામે વેચવાનું જાણે છે.આવા લોકોને રામથી નહીં પણ સત્તાથી પ્રેમ છે.મને લાગી રહ્યું છે કે જ્યારે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાતો થશે ત્યારે આ લોકો આમ નાગરિકોનું ધ્યાન હટાવવા માટે રામ મંદિરનું ઉદ્ધાટન પણ કરી શકે છે.સાથે જ જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા ધાર્મિક ધુ્રવીકરણને લઇને પણ લોકોને સતર્ક રહેવાની સલાહ આપી હતી.તેમણે કહ્યું હતું કે સત્તા મેળવવા માટે તેઓ હિન્દુ ખતરામાં છેનો ખૂબ ઉપયોગ કરશે,પણ હું તમને વિનંતી કરું છું કે તમે આ પ્રકારના લોકોનો શિકાર નહીં બનતા.

