રાહુલના ત્રણ ખાસ વ્‍યકિતઓએ જ બગાડયો કોંગ્રેસનો ખેલ !

HM News
4 Min Read

નવી દિલ્‍હી તા. ૯ : ગુજરાતમાં આગામી ૧૯ તારીખે રાજયસભાની ૪ બેઠકોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે.આ વખતે પણ આ ચૂંટણીને પગલે રાજયનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ગયું છે.એક તરફ કોંગ્રેસ જયાં આરોપ મુકી રહી છે કે ભાજપ તેના ધારાસભ્‍યોને યેનકેન પ્રકારે તોડવા માટે ભરચક્ક પ્રયાસ કરી રહ્યો છે.ત્‍યારે બીજી તરફ કોંગ્રેસમાં પણ આંતરીખ ડખાઓ અને રાજકરણ બહાર આવી રહ્યા છે.સૂત્રોનું માનીએ તો કોંગ્રેસના આંતરિક વિખવાદનું કારણ રાહુલ ગાંધીના જ પસંદગીના ત્રણ મુખ્‍ય નેતાઓ છે જેના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અન્‍ય નેતાઓમાં આંતરિક રોષ ભભૂકી રહ્યો છે.જેનું નુકસાન પાર્ટીને રાજયમાં ભોગવવું પડી રહ્યું છે.

ગુજરાતમાં આ ત્રણ નેતા એટલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા(૪૩),કોંગ્રેસ વિધાનસભા દળના નેતા પરેશ ધાનાણી(૪૩) અને ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસ કમિટીના ગુજરાત ઇન્‍ચાર્જ રાજીવ સાતવ(૪૫) છે.રાહુલ ગાંધીએ કદાવર ન હોય પરંતુ વફાદાર હોય તેવા નેતાઓને આગળ વધારવા માટે આ ત્રણેયને મહત્‍વપૂર્ણ જવાબદારી સોંપી હતી.ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ત્‍યારના રાજય એકમના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપી દીધુ હતું.તેમજ અન્‍ય એક કદાવર નેતા શક્‍તિસિંહ ગોહિલ પણ પોતાની બેઠક પરથી હારી ગયા હતા. તેવામાં રાહુલ ગાંધીને પોતાના ફેવરિટ ચાવડા અને ધાનાણીને મહત્‍વના પદો પર નિયુક્‍ત કરવાનો રસ્‍તો મોકળો થઈ ગયો.પરંતુ આ સાથે તેમણે સિદ્ધાર્થ પટેલ,નરેશ રાવલ,કુંવરજી બાવળિયા અને અર્જુન મોઢવાડિયા જેવા સીનિયર નેતાઓની ઉપેક્ષા પણ કરી.તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

પીએમ મોદી અને અમિત શાહના ગૃહ રાજય ગુજરાતમાં કોંગ્રેસને સંગઠિત કરવા માટે આ ત્રણ યુવાન ચહેરા પરની રાહુલ ગાંધીની પસંદગીને લઈને ત્‍યારે ઘણા લોકોને આંચકો લાગ્‍યો હતો. ત્‍યાં સુધી કે અહમદ પટેલ જેવા કદાવર નેતાને પણ સાઈડલાઈન કરી દેવામાં આવ્‍યા છે. આ ત્રણેયની નિયુક્‍તી પહેલા કોંગ્રેસે ડિસેમ્‍બર ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બરાબરની ટક્કર આપી હતી.

રાહુલના આ નિર્ણયથી પક્ષમાં ઘણા અંશે અસંતોષ ફેલાયો અને ગુજરાત કોંગ્રેસ કોર સમિતિના ૩૦થી વધુ સભ્‍યોએ ઓક્‍ટોબર ૨૦૧૮માં દિલ્‍હી જઈને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.જેમાં તેમણે આ ત્રણેય નેતાઓ અંગે ફરિયાદ કરી હતી.રાહુલે એક્‍શન લેશે તેવું કહ્યું હતું પરંતુ ત્‍યારબાદ પણ આ ત્રણેય પસંદગીના નેતાઓને સંરક્ષણ આપ્‍યું હતું.જે બાદ ગત વર્ષે થયેલી લોકસભા ચૂંટણીમાં પક્ષમાં આંતરિક વિરોધ વચ્‍ચે પણ ઘણા લોકોને ટિકિટ આપવામાં આવી હતી. જેનું પરિણામ પણ કોંગ્રેસે ભોગવ્‍યું હતું.

લોકસભા ચૂંટણી દરમિયાન જ પક્ષનો આંતરિક ઝગડો ખુલીને સામે આવી ગયો.રાહુલના આ ત્રણ ખાસ નેતાઓમાં જ અંદરોઅંદર ખેંચતાણ જોવા મળી જયારે પીપીસી પ્રમુખ અને સીએલપી પ્રમુખ બંનેના એકબીજાથી વિરુદ્ધ નિવેદન આવ્‍યા અને એકબીજા વિરુદ્ધ મોરચો ખોલી દીધો. ગત વિધાનસભા ચૂંટણીબાદ અત્‍યાર સુધીમાં ૧૬ કોંગ્રેસી ધારાસભ્‍યો પક્ષ સાથે છેડો ફાડી ચૂક્‍યા છે.

જોકે કોંગ્રેસના આંતરિક વિખવાદને શાંત કરવા માટે દિલ્‍હી તેમજ દેશના અન્‍ય કોંગ્રેસી નેતાઓને ગુજરાત મોકલવામાં આવ્‍યા.જે બાદ બધું થાળે પડતા કોંગ્રેસના મોવડી મંડળ સહિત અનેક લોકોને લાગ્‍યું કે હવે બધુ બરાબર છે.પરંતુ ફરી એકવાર કોરોના મહામારી વચ્‍ચે કોંગ્રેસ બેધ્‍યાન થઈ અને ભાજપે તીર માર્યું. કહેવાય છે કે કોંગ્રેસના હજુ બીજા કેટલાક ધારાસભ્‍યો પણ પલ્‍ટો મારી શકે છે.ત્‍યારે ભાજપ પણ ગુજરાતમાં કોરોના મહામારીના વકરતા દ્રશ્‍ય પરથી ધ્‍યાન અન્‍ય કેન્‍દ્રિત કરવા માટે પોતાના તરફથી તમામ પ્રયાસો કરશે અને સત્તારૂઢ પાર્ટી તેમજ ભાજપ પાસે હાલ રહેલા સંસાધનો જોતા તેના માટે આ મુશ્‍કેલ પણ નથી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *