છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા અધ્યક્ષને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના નવા અધ્યક્ષના નામને લઈને મોટું અને અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે.પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે કોઈ બિન-ગાંધી પરિવારના વ્યક્તિએ કોંગ્રેસનું નેતૃત્વ સંભાળવું જોઈએ.પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઈ અને કોંગ્રેસ પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયનું પણ સમર્થન કરતા જણાવ્યું છે કે ગાંધી પરિવાર બહારનાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવો જોઈએ. પ્રિયંકા ગાંધીએ આ વાત એક પુસ્તક ‘ઇન્ડિયા ટુમોરો’માં છપાયેલ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે.
અમારા માંથી કોઈએ પાર્ટી અધ્યક્ષ ન બનવું જોઈએ: રાહુલ-પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું છે, ‘જે રીતે રાહુલે કહ્યું હતું કે અમારા માંથી કોઈએ પાર્ટી અધ્યક્ષ ન બનવું જોઈએ.હું તેમની વાત સાથે સંપૂર્ણપણે સહમત છું,મને પણ લાગે છે કે હવે પાર્ટીએ પોતાનો રસ્તો શોધવાની જરૂર છે.વાસ્તવમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપતા જણાવ્યું હતું કે કોઈ બીજ-ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે.
બિન-ગાંધી પાર્ટી અધ્યક્ષના નિર્દેશોનું પાલન કરશે: પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ જણાવ્યું છે કે તમને નહેરુ ગાંધી પરિવારથી બહારના અધ્યક્ષ સાથે કામ કરવામાં કોઈ વાંધો નથી. જો કોઈ બિન-ગાંધી વ્યક્તિ પાર્ટી અધ્યક્ષ બને છે તો તે તેમના નિર્દેશોનું પાલન કરશે.
પુસ્તકમાં પ્રિયંકા ગાંધીનું નિવેદન
ઇન્ડિયા ટુમોરો પુસ્તકના લેખક પ્રદીપ છિબ્બર અને હર્ષ શાહ છે અને 13 ઓગસ્ટના રોજ આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, પુસ્તકમાં પ્રિયંકાએ આગળ જણાવ્યું છે કે ભલે કે પાર્ટી અધ્યક્ષ ગાંધી પરિવારથી ન હોય પણ તે તેમનો બોસ હશે. જો પાર્ટી અધ્યક્ષ મને કહે છે કે મારી જરૂરિયાત ઉત્તર પ્રદેશમાં નહિ આંદામાન નિકોબારમાં છે તો હું ખુશી ખુશી આંદામાન નિકોબાર જતી રહીશ.
7 વર્ષ ભયના માહોલમાં જીવ્યા હોવાનો પ્રિયંકા ગાંધીનો દાવો
આ પુસ્તક અનુસાર પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીને તેમના કરતા વધુ બુદ્ધિમાન અને પોતાનો સારો મિત્ર ગણાવ્યો છે.સાથે જ તેમણે પતિ રોબર્ટ વાડ્રા પર લાગેલ ભ્રષ્ટાચારના આરોપોને રાજનીતિ પ્રેરિત બતાવ્યા હતા.ઉપરાંત,પ્રિયંકાએ 1984માં તેમની દાદી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ આગામી 7 વર્ષ એટલે કે 1991માં તેમના પિતા રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યાં સુધી ભયના માહોલમાં જીવ્યા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે.


