– ફુગાવો અંકુશમાં રહેશે,જેથી રિઝર્વ બેન્કને રેટ કટમાં સાનુકૂળતા રહેશે
નવી િદલ્હી,
ફિચ સોલ્યૂશન્સે મંગળવારે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં વ્યાજના દરમાં 75 બેસીસ પોઈન્ટ(0.75 ટકા)નો ઘટાડો કરશે તેવી ધારણા છે.તેના મતે હાલમાં જે પગલાં લેવાયા તે અર્થતંત્રમાં ગતિ લાવવા માટે અપૂરતા છે.કોરોનાની અસર વ્યાપક છે. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે આરબીઆઈએ જે આક્રમક રીતે પગલાં લીધા છે તે જોતા હજી આગામી માર્ચ 2021 સુધીમાં તે વ્યાજના દરમાં 0.75 ટકાનો ઘટાડો કરશે તેવી ધારણા છે.તે મુજબ રેપો રેટ 3.65 ટકા થશે અને રિવર્સ રેપો રેટ 3 ટકા થઈ જશે.
એજન્સીએ કહ્યું કે કોરોના વાયરસને પગલે જે સ્થિતિ ઊભી થઈ છે તેમાં માંગ ઘટવાથી ફુગાવાનો દર ઘટશે અને તેને કારણે રિઝર્વ બેન્કને વ્યાજના દરમાં ઘટાડો કરવામાં સાનુકૂળતા રહેશે.કોરોનાને કારણે અર્થતંત્ર પર થયેલી અસર ઘટાડવા રિઝર્વ બેન્કે ગત સપ્તાહે લિક્વિડિટી વધારવા માટે અનેક પગલાં જાહેર કર્યા હતા.એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ કંપનીઓ માટે પણ રાહતો જાહેર કરી હતી. રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો, જેથી બેન્કો વધુ ધિરાણ કરે.
જોકે ફિચના મતે આ પગલાં પૂરતા નથી અને RBIએ વધુ પગલાં લેવા પડશે. તો જ કોરોનાની અસર દૂર થશે.આરબીઆઈએ ટીએલટીઆરઓ હેઠળ પણ ~50,000 કરોડ ઠાલવ્યા છે.આરબીઆઈએ રાજ્ય સરકારો માટે વેઝ એન્ડ મીન્સ એડવાન્સ(WMA) લિમિટ પણ વધારીને 30 ટકાથી વધારીને 60 ટકા કરી દીધી હતી અને તેની સમયમર્યાદા પણ 1 એપ્રિલથી વધારીને 30 સપ્ટેમ્બર કરી દીધી હતી. આરબીઆઈએ એનપીએ માટેની 90 દિવસની સમયમર્યાદાનો નિયમ પણ ફેરફાર કરીને 180 દિવસની કરી દીધી હતી. તેના મતે સ્મોલ અને મીડિયમ સ્કેલ કંપનીઓ(SME)ને કોરોના અને લોકડાઉનની વ્યાપક અસર થઈ છે.તેમાં એનબીએફસી અને માઈક્રોફાઈનાન્સ કંપનીઓનો પણ સમાવેશ થઈ જાય છે.