ગોંડલ અને રીબડા ક્ષત્રિય જૂથ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.રાજપૂત સમાજનાં વિવિધ સંગઠનો અને આગેવાનો દ્વારા બંને જૂથ વચ્ચે સામાધન થાય તે માટેના પ્રયત્ન કરાઈ રહ્યાં છે.જેને લઈને શનિવારે જયરાજસિંહ જાડેજાનાં પુત્રએ એક વિડીયો જાહેર કરી સમાજને વચ્ચે નહીં આવવા માટે અપીલ કરી હતી.ત્યારે રવિવારે ખુદ જયરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજના કાર્યક્રમમાં પ્રતિક્રિયા આપી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે, રિબડા જૂથ સાથે સમાધાન મુદ્દે કોઈ કૉમેન્ટ કરે નહીં,એક સપ્તાહમાં સમાજનું સંમેલન બોલાવીશ.
રાજકોટમાં રવિવારે હરભમજીરાજ ગરાસિયા બોર્ડિંગ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ખાસ હજાર રહ્યા હતા.અને જયરાજસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, સમાજને જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહ કોઈની જરૂર નથી,સમાધાન બાબતે મહેરબાની કરીને અત્યારે કોઈ કૉમેન્ટ ન કરવી,હું એકાદ સપ્તાહમાં સમગ્ર સૌરાષ્ટ્રના રાજપૂત સમાજને ભેગો કરવાનો છું.જેમાં આ અંગેની તમામ વિગતો રજૂ કરવામાં આવશે.અને ત્યારબાદ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.પણ ત્યાં સુધી ફેસબુક કે અન્ય કોઈપણ માધ્યમ દ્વારા સમાજનાં કોઈ આગેવાન સમાધાન મુદ્દે કોઈ ટિપ્પણી કરે નહીં તેવી મારી વિનંતી છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે અનિરુદ્ધસિંહ જાડેજાનાં ધર્મપત્ની હર્ષાબા જાડેજાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.જેમાં જયરાજસિંહ જાડેજા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.આ મુદ્દે પણ અગાઉ જયરાજસિંહનાં પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશે કહ્યું હતું કે, ક્ષત્રિય મહિલાની એક પરંપરા છે,આવી કોઈ બાબતે ઘરનાં માતા,બહેન કે સ્ત્રીઓએ મેદાનમાં ના ઊતરવું જોઈએ.સાથે જ જણાવ્યું હતું કે, આ બાબતે રાજપૂત સમાજના અગ્રણીઓ,સંસ્થાઓ સમાધાનની વાત કરતા પહેલા અમારા પરિવાર સાથે વાતચીત કરે,આ લડાઇ સામાજીક નહીં રાજકીય લડાઇ છે.
વધુમાં સમાજ ઉપર પણ સવાલ ઉઠાવતા કહ્યું હતુ કે, અનિરુદ્ધસિંહ જાડેજાએ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની સાથે અમારી વિરુદ્ઘ સંમેલન કર્યુ ત્યારે સમાજ ક્યાં ગયો હતો ? અનિરુદ્ધસિંહના પુત્રએ મારા પિતા વિશે મારા કાકાને ફોન કરીને અશોભનિય શબ્દો કહ્યા હતા.એવામા હવે જો અનિરૂદ્ધસિંહ અમારા ટેકેદારોને હેરાન કરશે તો અમે તેને જવાબ આપીશું.ત્યારે આ સમગ્ર પ્રકરણમાં સમાજ કે સમાજના કોઇ આગેવાનોએ વચ્ચે ન આવવા તેમણે અપીલ કરી હતી.જેને હાલ જયરાજસિંહ જાડેજાએ પણ સમર્થન આપ્યું છે.