અમદાવાદ : મંગળવાર,21 જુન,2022 : અમદાવાદ મ્યુનિ.ની રીક્રીએશન કમિટીની આજે મળનારી બેઠકમાં વિવાદાસ્પદ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.જેમાં ટૂંક સમયમાં જેની કામગીરી પુરી થવાની છે એવા જોધપુર વિસ્તારમાં બનાવાયેલા રીક્રીએશન સેન્ટર ઉપરાંત શહેરમાં ભવિષ્યમાં બનનારા નવા તમામ રીક્રીએશન સેન્ટર પી.પી.પી.ધોરણે પધરાવી દેવા મંજુરી માંગવામાં આવી છે.ગોતા,થલતેજ બાદ વધુ એક રીક્રીએશન સેન્ટરને વાર્ષિક બાર લાખની અપસેટ વેલ્યુ સાથે આપવા તંત્ર તરફથી કવાયત શરુ કરવામાં આવી છે.
શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૯ જીમ્નેશિયમ ઉપરાંત ચાર સ્કેટીંગ રીંક ઉપરાંત બે સ્પોર્ટસ કોમ્પલેકસ અને પંદર જેટલા સ્નાનાગાર ચલાવવામાં આવી રહ્યા છે.૩૦ ડીસેમ્બર-૨૦૨૧ના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ગોતા અને થલતેજ વિસ્તારમાં બનાવવામાં આવેલા રીક્રીએશન સેન્ટર દસ વર્ષના સમય માટે પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા અંગે ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો.જોધપુર વિસ્તારમાં ટી.પી.સ્કીમ.નંબર-૨૭ના ફાઈનલ પ્લોટ નંબર-૬૯ ખાતે બનાવાઈ રહેલા રીક્રીએશન સેન્ટરની કામગીરી પુરી થવાની તૈયારીમાં છે.
આ રીક્રીએશન સેન્ટરમાં સ્નાનાગાર ઉપરાંત જીમ્નેશિયમ ચેન્જરુમ ઉપરાંત સાવરરુમ અને વોશરુમની સુવિધા સાથે બનાવવામાં આવ્યા છે.મ્યુનિ.તંત્રના દાવા પ્રમાણે,રીક્રીએશન સેન્ટર ચલાવવા પાછળ દર મહિને અંદાજિત ૭૭,૭૦૦નો ખર્ચ થાય છે.ઉપરાંત એક સ્નાનાગાર ચલાવવા પાછળ મહિને અંદાજે ૩.૫૦ લાખનો ખર્ચ થાય છે.આ પરિસ્થિતિમાં તંત્ર ઉપર ખર્ચનો બોજો ના પડે એ હેતુથી રીક્રીએશન સેન્ટર સક્ષમ એજન્સીને પી.પી.પી.ધોરણે સોંપવા જરુરી છે.દરખાસ્ત મુજબ,વાર્ષિક બાર લાખ રુપિયાની અપસેટ વેલ્યુથી પી.પી.પી.ધોરણે ચલાવવા આપવા મંજુરી માંગવામાં આવી છે.પરંતુ કામગીરી આપ્યા બાદ મ્યુનિ.તંત્રને ચોકકસ કેટલી આવક થશે એ અંગે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
જગ્યા મ્યુનિ.ની હોવાપરાંત રીક્રીએશન સેન્ટરનું બાંધકામ કર્યા બાદ મામૂલી રકમથી દસ વર્ષ માટે પી.પી.ધોરણે આપવા કવાયત શરુ કરાઈ છે.રીક્રીએશન સેન્ટરમાં જીમ્નેશિયમ માટે માસિક સભ્ય ફી ૨૦૦ રુપિયા અને પર્સનલ ટ્રેનિંગ ફી ૪૦૦ રુપિયા નકકી કરાશે.સ્નાનાગાર માટે શીખાઉ માટે માસિક ફી ૩૦૦ અને શીખાઉ માટે ૪૦૦ રુપિયા રહેશે.પર્સનલ(એડવાન્સ)કોચીંગ ફી ૮૦૦ રહેશે.ત્રણ અથવા છ મહિનાની ફી ભરનારને પાંચ ટકા અને નવ અથવા બાર મહિનાની ફી ભરનારને દસ ટકા ડીસ્કાઉન્ટ અપાશે.