નવી દિલ્હી, તા. 16 માર્ચ 2022 બુધવાર : લોકસભામાં રેલ મંત્રાલયની અનુદાન માંગણીઓ પર ચર્ચા કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પષ્ટ રીતે કહ્યુ કે રેલવેનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યુ નથી.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રાલયની અનુદાન માગ પર કરવામાં આવેલી ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.તેમણે કહ્યુ કે કેટલાક સભ્યોએ એ મુદ્દો ઉઠાવ્યો કે સરકાર રેલવેનુ ખાનગીકરણ કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ,ટ્રેક કોનો છે- રેલવેનો,પાટા કોના- રેલવેના,સ્ટેશન કોના- રેલવેના,તાર કોના- રેલવેના,એન્જિન કોના- રેલવેના,ટ્રેનના કોચ કોના- રેલવેના,સિગનલિંગ સિસ્ટમ કોની છે- રેલવેની,અહીં ક્યાંથી પ્રાઈવટાઈઝેશનની વાત ઉઠે છે.
તેમણે કહ્યુ કે કેટલાક સભ્યોએ કહ્યુ કે કેટલાક ફ્રેટ ટ્રેનોને પ્રાઈવટાઈઝ કરવામાં આવી રહ્યુ છે.જે બિલકુલ પણ સાચુ નથી.ભારત સરકારની નીતિમાં રેલવે માટે આ સ્પષ્ટ લખેલુ છે કે રેલવે એક સ્ટ્રેટેજિક સેક્ટર છે.આ સેક્ટરના સામાજિક દાયિત્વ છે.સાથે જ વાણિજ્યિક દાયિત્વ પણ છે,તેને જોતા રેલવેના ખાનગીકરણની કોઈ જરૂર નથી.
રેલવે મંત્રીએ કહ્યુ કે રેલવેના ખાનગીકરણનો મુદ્દો જે કોઈ સભ્યોએ ઉઠાવ્યો છે,તે કાલ્પનિક છે.

