અમદાવાદ, રવિવાર, 1 મે,2022 : ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે મધ્યઝોનમાં ઝાડા-ઉલટીનાં કેસ વધ્યા હોવાની ખાડિયા-જમાલપુરના ધારાસભ્યે રજૂઆત કરી આ રોગચાળાને કાબૂમાં લેવા કાર્યવાહી કરવાની તંત્ર સમક્ષ રજૂઆત કરતા તંત્રે કહ્યુ,હેલ્થ વર્કરો ઘરે-ઘરે જઈ ઓ.આર.એસ.ના પેકેટ આપે છે.જેથી બાળકોથી લઈ વયસ્ક સુધીના તમામને ઝાડા-ઉલટીથી બચાવી શકાય છે.
ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ સંકલન સમિતિ આ વખતે ચોકકસ સમયે મળશે એવી ધારણાથી મધ્યઝોનના અસારવા ઉપરાંત શાહપુર, દૂધેશ્વર તથા શાહિબાગ, દરિયાપુર, અસારવા અને ખાડિયા તેમજ જમાલપુરમાં આવેલ ચાલીઓ,હાઉસીંગના મકાનો તથા પોળોમાં છેલ્લા એક મહિનાથી પ્રદૂષિત પાણીની વધી રહેલી સમસ્યાના કારણે ૧૨ વર્ષથી નીચેની વયના બાળકોમાં ઝાડા-ઉલટીનું પ્રમાણ વધ્યુ હોવાની રજૂઆત કરી હતી.
ધારાસભ્યે એવી પણ રજૂઆત કરી હતી કે,આ તમામ વિસ્તારના નાગરિકો મધ્યમ અને સામાન્ય વર્ગમાંથી આવતા હોવાથી તેમને એ.સી.વાળી હોસ્પિટલમાં સારવાર લેવા કે ગ્લુકોઝના બાટલા ચઢાવવાનો સારવારનો ખર્ચ પરવડી શકતો નથી.આ કારણથી તેઓ ઘરે જ દવા,ગોળી અથવા ઈન્જેકશન લઈ સારવાર કરાવી રહ્યા છે.આ બાબતની ગંભીર નોંધ લઈ મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપર પિડીયાટ્રીશિયન હોવા જરુરી છે.
સંકલન સમિતિની બેઠક તો કોઈ પણ કારણ આપ્યા વગર મોકૂફ કરી દેવામાં આવી હતી.પરંતુ તંત્રે ધારાસભ્યને આપેલા જવાબ પ્રમાણે,આશા અને અન્ય હેલ્થ વર્કરો તેમને સોંપેલા વિસ્તારમાં ઘેર-ઘેર જઈ ઓ.આર.એસ.ના પેકેટ આપી રહ્યા છે.ખાડિયા અને રાયખડ અર્બન હેલ્થ સેન્ટર ખાતે પિડીયાટ્રીશિયનની નિમણૂંક ટૂંક સમયમાં કરાશે.બાકીના અર્બન હેલ્થ સેન્ટરમાં પિડીયાટ્રીશિયન ઉપલબ્ધ છે.અર્બન હેલ્થ સેન્ટર ઉપર આવતા ઓ.પી.ડી.કેસમાં ઝાડા-ઉલટીની સારવાર કરવામાં આવે છે.


