અમદાવાદ : મ્યુનિ.ના ચકચારી રોડ કૌભાંડમાં પાંચ વર્ષ બાદ આખરે ૨૩ ઇજનેરોને ચાર થી છ ઇન્ક્રિમેન્ટ જેટલો રોકડ રકમનો દંડ કેમ વસૂલ ના કરવો તેવા મતલબની ફાઇનલ શો કોઝ નોટિસ પાઠવી દેવાતાં મ્યુનિ.કર્મચારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર,શહેરમાં સને ૨૦૧૭ના વર્ષમાં ચોમાસા સમયે અનેક વિસ્તારોના રોડ ધોવાઇ ગયાં હતા અને નાનામોટા ખાડા પડી ગયા હતા.જેના પગલે તત્કાલીન મ્યુનિ.કમિશનરે રોડ ધોવાઇ જવા અને ખાડા પડી જવાના પ્રકરણમાં વિજીલન્સ તપાસ સોંપવાની જાહેરાત કરી હતી.વિજીલન્સ તપાસમાં રોડ તૂટવા અંગે ઇજનેર ખાતાના અધિકારી-કર્મચારીઓની સામે આંગળી ચિંધવામાં આવતાં તે સમયે રોડ પ્રોજેકટ અને સાતેય ઝોનના ૧૧૦ ઇજનેર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.ત્યારબાદ આવેલાં મ્યુનિ.કમિશનરે વિવાદાસ્પદ પ્રકરણમાં ૮૭ ઇજનેરોને શો કોઝ નોટિસ ફટકારીને રોકડ રકમનો દંડ મ્યુનિ.તિજોરીમાં જમા કરાવવાનો આદેશ કરી રાહત આપી હતી.
મ્યુનિ.સૂત્રોના જણાવ્યા અનુસાર,૮૭ ઇજનેરોને રોડ કૌભાંડમાં રાહત મળી ગયાં બાદ બાકી રહેલાં ૨૩ ંઆસિસ્ટન્ટ.ઇજનેર,આસિસ્ટન્ટ.સિટી ઇજનેર અને ડે.સિટી ઇજનેર તથા એડિશનલ સિટી ઇજનેર સામે લંબાણપૂર્વક ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવી હતી તેમજ નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવામાં આવી હતી.આ બન્ને રિપોર્ટ આવી ગયાં પછી પણ ૨૩ ઇજનેરો સામે પગલાં લેવાની ફાઇલ આગળ વધતી નહોતી.દરમિયાનમાં મ્યુનિ.કમિશનરે ૨૩ ઇજનેર કર્મચારી-અધિકારીને ચારથી છ ઇન્ક્રિમેન્ટ જેટલો દંડ વસૂલ કરવાની ફાઇનલ શો કોઝ નોટિસ ફટકારી દીધી હતી,તેમજ તેની જાણ મ્યુનિ.સ્ટે.કમિટી ચેરમેન હિતેષભાઇ બારોટ સહિતના હોદ્દેદારોને કરી હતી.જેની વધુ વિગત આપતાં સ્ટે.કમિટી ચેરમેને પત્રકારોને જણાવ્યું હતુ કે,૯ આસિસ્ટન્ટ ઇજનેર અને સાત આસિસ્ટન્ટ.સિટી ઇજનેરને ચાર ઇન્ક્રિમેન્ટ જેટલો દંડ તથા ચાર ડે.સિટી ઇજનેર અને ત્રણ એડિશનલ સિટી ઇજનેરને છ ઇન્ક્રિમેન્ટ જેટલો દંડ વસૂલ કરવા માટે ફાઇનલ શો કોઝ નોટિસ આપવામાં આવી છે.મ્યુનિ.કોંગ્રેસપક્ષ નેતા શેહઝાદખાન પઠાણે ગુરુવારે ૨૩ ઇજનેરોને ચાર થી છ ઇન્ક્રિમેન્ટ જેટલો દંડ ભરવાની શો કોઝ નોટિસને અપૂરતી ગણાવતાં જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.