અમદાવાદ,તા.૨૧
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૪મી ફેબ્રુઆરીએ એરપોર્ટથી રોડ શો કરી સીધા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જવાના છે. પહેલા તેઓ ગાંધીઆશ્રમ થઈ રોડ શો કરવાના હતા, પરંતુ હવે ગાંધીઆશ્રમની મુલાકાત રદ થતાં રોડ શો ક્યાંથી થશે તે મામલે અસમંજસ ચાલી રહી હતી. જો કે મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે રોડ શોનો રૂટ એરપોર્ટથી ગાંધીઆશ્રમ તરફ અને ત્યાંથી એરપોર્ટ થઈ ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા સુધીનો જ છે. રોડ શોની તૈયારીઓ એરપોર્ટ, ડફનાળા થઈ ગાંધીઆશ્રમ તરફના રોડ પર કરવામાં આવી છે.
જો કે સંભવિત તૈયારીઓને જોતા ટ્રમ્પ અને મોદીનો રોડ શોનો કાફલો સુભાષબ્રિજથી યુ ટર્ન મારી પરત એરપોર્ટ તરફ આવશે અને ત્યાંથી ઈન્દિરાબ્રિજ થઈ મોટેરા જશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્વીટ કરેલા વીડિયોમાં એરપોર્ટથી મોટેરાના રસ્તે સાંસ્કૃતિક ઝાંખી કરાવતો ભવ્ય રોડ શોનો ઉલ્લેખ છે. પરંતુ ગાંધી આશ્રમનો કોઈ જ ઉલ્લેખ નથી એટલે એરપોર્ટથી કયા રસ્તે મોટેરા રોડ શો કરતા જશે એ મામલે અસમંજસ થઈ હતી.
રોડ શોના રૂટ પર કોર્પોરેશન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ ૨૮ જેટલા સ્ટેજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. રોડ શોને ભવ્ય બનાવવા માટે સમગ્ર રૂટ પર સુશોભનની તમામ તૈયારીઓ તડામાર ચાલી રહી છે.
રોડ શો એરપોર્ટથી ગાંધીઆશ્રમ અને આશ્રમથી ઈન્દિરાબ્રિજના રૂટ પર જ રહેશે : મેયર
Leave a Comment

