બર્મિંગહામ : ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે અને ગયા વર્ષે બાકી રહેલી એક ટેસ્ટ રમનારી છે.જોકે તે અગાઉ ટીમનો કેપ્ટન રોહિત શર્મા કોરોનાગ્રસ્ત બની ગયો છે.શનિવારે તેના એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેને હાલમાં આઇલેશનમાં રાખવામાં આવ્યો છે.જોકે રવિવારે આરટી-પીસીઆર ટેસ્ટ બાદ તેના ભાવિ અંગે નિર્ણય લેવાશે પરંતુ રોહિત શર્માને ફરજિયાત છ દિવસના આઇસોલેશનમાં રહેવાનું થશે તો તેને સ્થાને ગુજરાતના જસપ્રિત બુમરાહને ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની બનાવાય તેવી શક્યતા બળવત્તર બની છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગયા વર્ષે પાંચ ટેસ્ટની સિરીઝ રમાનારી હતી પરંતુ ચાર ટેસ્ટ બાદ ભારતીય ટીમમાં એક કરતાં વધારે ખેલાડીઓ તથા સપોર્ટ સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ભારતે સિરીઝ પડતી મૂકવાની ફરજ પડી હતી અને હવે બાકી રહેલી પાંચમી ટેસ્ટ પહેલી જુલાઈથી બર્મિંગહામના એજબસ્ટન ખાતે રમાનારી છે.આ ટેસ્ટ માટે ભારતીય ટીમ ઘણા દિવસ અગાઉ ઇંગ્લેન્ડ પહોંચી ગઈ હતી અને હાલમાં લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમી રહી હતી.આ દરમિયાન રોહિત શર્મા બહારના સંપર્કમાં આવતા તેને કોરોના થયો હોવાનું મનાય છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ પ્રવાસમાં બાયો બબલમાં નથી. આ જ રીતે ભારતની લિમિટેડ ઓવર્સની ટીમ હાલમાં આયર્લેન્ડના પ્રવાસે છે અને તેને પણ બાયો બબલમાં રાખવામાં આવી નથી.રોહિત શર્મા અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે જારી કરેલી યાદી મુજબ શનિવારે તેનો કોવીડ-19 માટેનો રૂટિન એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો.બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક યાદીમાં જણાવ્યું હતું કે રોહિત શર્મા હાલમાં ટીમની હોટેલમાં આઇસોલેટ છે અને બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.
હવે રવિવારે તેનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે અને ત્યાર બાદ તેના વિશે જાણવા મળશે.ભારત અને લેસ્ટરશાયર વચ્ચે રમાયેલી મેચમાં રોહિત શર્માએ પ્રથમ દાવમાં બેટિંગ કરી હતી પરંતુ ત્યાર બાદ મેચના બીજા દિવસે તે મેદાન પર આવી શક્યો ન હતો.તેણે બીજા દાવમાં પણ બેટિંગ કરી ન હતી.35 વર્ષીય ભારતીય સુકાની અને ઓપનર રોહિત શર્મા પાંચમી ટેસ્ટમાં શુભમન ગિલ સાથે ઇનિંગ્સનો પ્રારંભ કરશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ હવે તે રમશે કે કેમ તેનો આધાર રવિવારના આરટી-પીસીઆર ટેસ્ટના રિપોર્ટ અને ત્યાર બાદ તે કેટલો ઝડપથી સાજો થાય છે તેના ઉપર રહેલો છે.
આ દરમિયાન એવા પણ અહેવાલ છે કે રોહિત શર્મા રમી નહીં શકે તો તેને સ્થાને ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ટેસ્ટ ટીમનો સુકાની બનાવાશે. બુમરાહ ઉપરાંત રિશભ પંત અંગે પણ વિચારણા ચાલી રહી છે કેમ કે રિશભ પંતે તાજેતરમાં જ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં ભારતીય ટીમની આગેવાની લીધી હતી.બુમરાહને કેપ્ટન બનાવાય તો તે ગુજરાતનો એવો પ્રથમ ટેસ્ટ ક્રિકેટર બનશે જેણે ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું હોય બુમરાહ અને રિશભ પંત બેમાંથી એકેય ખેલાડીએ હજી સુધી ભારતીય ટીમની આગેવાની લીધી નથી.દરમિયાન ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન ટૂંક સમયમાં ઇંગ્લેન્ડમાં ભારતીય ટીમ સાથે જોડાય તેવી શક્યતા છે.ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થઈ તે અગાઉ અશ્વિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.હવે તે ફરીથી ફિટ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ટીમ સાથે જોડાઈ જશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ બાયો બબલ વિના રમાનારી છે.ઇંગ્લેન્ડની ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડ સામે પણ બાયો બબલ વિના જ રમી રહી છે.ભારતીય ટીમ પાંચમી ટેસ્ટમાં જીતવાનો પ્રયાસ કરશે કેમ કે હાલમાં તે પાંચ ટેસ્ટની સિરીઝમાં 2-1ની સરસાઈ પર છે.આ સંજોગોમાં ઇંગ્લેન્ડની ટીમ સિરીઝ બચાવવા માટે રમશે.આમ આ મેચ રોમાંચક બને તેવી શક્યતા છે.આ ટેસ્ટનો વિજય ભારતને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં લાભ કરાવી શકે તેમ છે.ભારત હાલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા બાદ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે છે.ગયા વર્ષની ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત ફાઇનલમાં પ્રવેશ્યું હતું જ્યાં ન્યૂઝીલેન્ડ સામે તેનો પરાજય થયો હતો.


