– અજમેર જેવા ધાર્મિક સ્થળો ટુરનું આયોજન
– મુસ્લિમ મતદારો મતદાનથી જ અળગા રહી જાય તેવી કોશિશ
સુરત પૂર્વ વિધાનસભાની બેઠક પર આપના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચતા હવે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે.ત્યારે કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકવાલાએ ઓબ્ઝર્વર સુરેશ ચૌધરીને ફરિયાદ કરી છે કે લઘુમતી મતદારોને પૈસાની લાલચ આપીને મત આપવાથી વંચિત રાખવા માટે અજમેર જેવા ધાર્મિક સ્થળોએ લઈ જવામાં આવે છે.
અસલમ સાયકવાલાએ કોઈનું નામ લીધા વિના,આક્ષેપ કર્યો છે કે કેટલાક અસામાજિક-રાજકીય તત્વો સુરત પૂર્વના લઘુમતી સમુદાયને મતદાનથી વંચિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.વિધાનસભાની ચૂંટણીના પૂર્વ બેઠકનાં ઓબ્ઝર્વર સુરેશ ચૌધરીને ફરિયાદ કરતા જણાવ્યું છે કે મુસ્લિમ,રાણા,ખત્રી તેમજ સ્થાનિક સુરતી મતદાતાઓનું વર્ચસ્વ ધરાવતી આ બેઠક ઉપર રાજકીય ઇશારે મુસ્લિમ મતદારો મતદાનથી જ અળગા રહી જાય તે રીતે 29 અને 30મી નવેમ્બરે રાત્રીનાં સમયે સુરતથી અજમેર તેમજ અન્ય ધાર્મિક સ્થળોની ટુર ગોઠવવામાં આવી છે.તેઓ દ્વારા મતદારો પાસેથી પુરાવાઓ લેવામાં આવે છે અને તેના બદલામાં 500 થી 1000 રૂપિયાનું પ્રલોભન આપવામાં આવે છે.જેથી તેઓ મતદાન ન કરી શકે.અસલમ સાયકલવાળાએ પણ એવી રજૂઆત કરી છે કે ખાસ રાત્રીનાં સમયે વાહન ચેકીંગ કરાવવામાં આવે તો રાજકીયપક્ષો દ્વારા આચરવામાં આવી રહેલી યેનકેન પ્રકારની ગેરરીતી અટકી શકે તેમ છે.