– ઝેરી કેમિકલની ચોરી ન થાય તે માટે સવિશેષ તકેદારી રાખવા અંગે પણ દિશા નિર્દેશ
– ઝેરી કેમિકલનું પરિવહન કરતાં વાહનોમાં ફરજિયાત જીપીએસ લગાવવા ટકોર
સુરત : બોટાદમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ નાગરિકોના મોતને પગલે સુરતમાં પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા છે.જેને પગલે સુરત એડિ.ડીજી દ્વારા મિથેનોલ અને ઇથેનોલના વપરાશ કરનાર યુનિટોના પ્રતિનિધિઓ સહિત વિવિધ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સાથે મેરેથોન બેઠકનું આયોજન કર્યું હતું.દક્ષિણ ગુજરાતના એડિશનલ ડીજીપી રાજકુમાર પાંડીયન દ્વારા આજરોજ પ્રથમ વખત ગુજરાતમાં પ્રોહી અને એક્સાઇઝ ઉચ્ચ અધિકારીઓ ઇન્ડસ્ટ્રીયલ ડીપાર્ટમેન્ટના અધિકારીઓ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને ઉદ્યોગમાં વપરાતો મિથેનોલ કેમિકલના વેપારીઓ સાથે મિટિંગ કરીને વિશેષ તકેદારી રાખવાના આદેશો આપ્યા છે.
આજ રોજ સવારથી જિલ્લા પોલીસ ભવનમાં પ્રોહિબિશન એક્સાઇઝના અધિકારીઓ સહિત વાપીથી તાપી સુધીના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તથા સુરત નવસારી વલસાડ તાપી અને ડાંગ જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે લઠ્ઠાકાંડનું પુનરાવર્તન ન થાય તે માટેની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરાયું હતું.બેઠક દરમિયાન ઇથેનો- મિથેનોલનો ઉપયોગ કરતા ઉદ્યોગિક ગૃહો અને ટ્રાન્સપોર્ટેશન્સને આ ઝેરી કેમિકલની ચોરી ન થાય તે માટે સવિશેષ તકેદારી રાખવા અંગે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા.
આ દરમિયાન ઝેરી કેમિકલનું પરિવહન કરતાં વાહનોમાં ફરજિયાત જીપીએસ લગાવવા અંગે પણ પોલીસ દ્વારા ટ્રાન્સપોર્ટોરોને ટકોર કરવામાં આવી હતી.ખાસ કરીને ટેન્કરના ચાલકો કે જેઓને આ કેમિકલની ઘાટકતા અંગે ખાસ માહિતી ન હોવાને કારણે ચોરી જેવી ઘટનાઓ બનતી હોય છે તે અટકાવવા માટે ખાસ જાગૃતિ અભિયાન શરૂ કરવા માટે પણ સૂચન કરવામાં આવ્યું હતું.
આ મિટિંગમાં દક્ષિણ ગુજરાતના તાપી,સુરત,નવસારી,ડાંગ,વલસાડના એસપી તેમજ પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.આ બાબતે આગામી બે દિવસમાં એસઓપી બહાર પાડશે તેવું જણાવ્યું હતું.