અમદાવાદ : ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગાએ તેમના કાર્યકાળ દરમ્યાન જમીનોના પ્રિમીયમ નહીં વસુલી ખોટા દસ્તાવેજો ઉભા કરી બિનખેડૂતને ખેડૂત બનાવી સરકાર સાથે છેતરપિંડી કરી હોવાનો મહેસુલ વિભાગની તપાસમાં ભાંડો ફુટ્યો હતો અને વિવિધ ૧૮ મુદ્દાઓને લઇને ગાંધીનગરના સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ષડયંત્ર સહિતની કલમો હેઠળ સરકાર દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.ત્યારે બે મહિના બાદ આખરે ગાંધીનગર પોલીસે લાંગાની રાજસ્થાનના માઉન્ટ આબુથી ધરપકડ કરી લીધી છે.ત્યારે ગાંધીનગર રેન્જ IG અભય ચુડાસમાએ લાંગાના કેસને લઈને નિવેદન આપ્યું છે.
મુલસાણા અને પેથાપુરની જ તપાસ થઈ
રેન્જ IG અભય ચુડાસમાએ જણાવ્યું છે કે એસ.કે.લાંગા પાસે વધુ સંપતી જાહેર થઈ છે.તેમણે સરકારને રૂપિયા 20 કરોડનું નુકસાન પહોચાડ્યું છે.એસ કે લાંગાની પુછપરછ દરમિયાન કોના કોના નામ નીકળશે અને આ કૌભાંડ તેમણે કોની સૂચનાથી કર્યું હતું અને કોના કહેવાથી કર્યું હતું એ બધી તપાસ પછી જે કોઈ નીકળશે એમને છોડવામાં નહીં આવે.તેમણે વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં હજી સુધી કોઈ રાજકીય નામ સામે આવ્યું નથી.જે વિસ્તૃત પુછપરછ પછી જ સામે આવી શકે,. અત્યાર સુધીમાં 20 કરોડ જેટલી રકમનું નુકસાન થયાનું સામે આવ્યું છે.હજી વધુ પ્રકરણો સામે આવી રહ્યાં છે.અત્યારે તો હજી મુલસાણા અને પેથાપુરની જ તપાસ થઈ શકી છે.કારણ કે બહુ જ મોટા પ્રમાણમાં દસ્તાવેજો છે અને પુરાવાઓ પણ છે.
હજી 25થી વધારે પ્રકરણોની તપાસ હાથ ધરાશે
રેન્જ IG અભય ચુડાસમાએ વધુમાં કહ્યું હતું કે, આ કૌભાંડ કેટલા કરોડનું હશે એ તો પુરી તપાસ થયા પછી જ બહાર આવી શકે.હજી 25થી વધારે પ્રકરણોની તપાસ હાથ ધરવાની બાકી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, લાંગાના જૂનાગઢમાં ચાર બંગલા, માતરમાં જમીન,કુટુંબીજનોના નામે અમદાવાદની આસપાસ ત્રણ જમીન છે.એક રાઈસમીલ છે.અમદાવાદમાં ફ્લેટ અને બંગલો છે.આ ઉપરાંત એક કંપનીમાં પાર્ટનર હોવાનું પણ જાણવા મળ્યું છે.માતરની જમીનમાં લાંગાનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ જણાઈ આવે છે.તેમના વતનમાં તપાસ કરતાં આવો કોઈ રેકોર્ડ અમને મળી આવ્યો નથી.આ કેસમાં જે પણ અધિકારીઓ કે કર્મચારીઓના નામ વિસ્તૃત પુછપરછમાં જાહેર થશે તેમને છોડવામાં નહીં આવે.
રિમાન્ડ મેળવ્યા બાદ વધુ પૂછપરછ કરાશે
આ અંગે આજે રેન્જ આઈજીએ પ્રત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજે રિમાન્ડની માંગ કરવામાં આવશે.તેઓની પૂછપરછ કરવામાં આવશે.અત્યારે અમારી પાસે જે પ્રાથમિક માહિતી છે તે એસ કે લાંગા તથા તેમના હાથ નીચેના અધિકારીઓની છે.ખૂબ મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને પુરાવાઓ છે.આ સમગ્ર કૌભાંડની તપાસ કર્યા પછી કેટલા કરોડનું કૌભાંડ છે તે અંગે જાણ થશે.લાંગાનું ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર પણ શંકાસ્પદ જણાઇ આવ્યું છે.તેમના વતન ભાણવડ તાલુકાના સિવા ગામમાં તપાસ કરી તો આ અંગેનો ત્યાં કોઈ રેકોર્ડ મળી આવેલ નથી.જેથી તે શંકાના દાયરામાં છે જ,તેઓ કદાચ ખોટા ખેડૂત બન્યા હોઈ શકે.તેની પણ અત્યારે તપાસ ચાલુ છે.