નવી દિલ્હી, તા. 9 જાન્યુઆરી 2021 શનિવાર
રાજદના પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવ એક ગુનેગાર અને કેદી હોવા છતાં એમને એક બંગલામાં રાખવાના નિર્ણયની ઝારખંડ હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢી હતી.
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિચાર વિનિમય કર્યા વિના લાલુને રીમ્સ ડાયરેક્ટરના બંગલામાં રાખવાના પગલાની હાઇકોર્ટે જોરદાર ટીકા કરી હતી અને કહ્યું હતું કે સરકાર કાયદાથી ચાલે છે.અહીં કોઇ વ્યક્તિ વિશેષ નથી. ગુનેગાર હોય એની સાથે ગુનેગાર જેવું જ વર્તન થવું ઘટે.કોરોના સંક્રમણના બહાને લાલુને ખસેડાયા હતા એ વિશે હાઇકોર્ટે કહ્યું કે ચેપની શક્યતા હોવા અંગે રિમ્સ વહીવટી તંત્રે જેલ અધિકારીઓને પહેલાં જાણ કરવાની જરૂર હતી.લાલુને ક્યાં રાખવા એનો નિર્ણય જેલ અધિકારી કરી શક્યા હોત.
જસ્ટિસ અપરેશ કુમાર સિંઘે બધાંની ઝાટકણી કાઢતાં એવો સવાલ કર્યો હતો કે રીમ્સ તંત્રે લાલુને બંગલામાં ખસેડવાની આટલી બધી ઉતાવળ કેમ કરી.લાલુને બંગલામાં શીફ્ટ કરવા પહેલાંના અને પછીના સંજોગો વિશે રીમ્સ તંત્રે કોર્ટમાં રજૂ કરેલી એફિડેવિટમાં કોઇ અણસાર આપવામાં આવ્યો નહોતો.વળી,લાલુને ડાયરેક્ટરના બંગલામાંજ શા માટે શીફ્ટ કરાયા એ પણ કોર્ટને સમજાતું નથી.કોઇ નીતિ નિયમનુ્ં પાલન આ બાબતમાં કરાયું નથી.
પોતાના બચાવમાં જેલ અધિકારીએ કોર્ટને કહ્યું કે કોઇ કેદીને સારવાર માટે જેલની બહાર લઇ જવામાં આવે તો એની સિક્યોરિટીની અને બીજી વ્યવસ્થા કરવી પડે છે.લાલુના બોડીગાર્ડ્ઝને કોરોનાનો ચેપ લાગતાં લાલુને એ ચેપ ન લાગે માટે આ ઉતાવળ કરાઇ હતી. તેમના સિક્યોરિટી સ્ટાફને તત્કાળ ખસેડવામાં આવ્યો હતો.ખુદ લાલુની પણ હાલ સારવાર ચાલી રહી હતી.