સુરત : લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બન્યા બાદ ગીર સોમનાથના યુવાને આત્મહત્યા કરતા તે ગુનામાં ત્રણ વર્ષથી વોન્ટેડ મૂળ ધ્રાંગધ્રાની મહિલાને સુરત એસઓજીએ ઝડપી પાડી હતી.એસઓજીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એએસઆઈ મો.મુનાફ ગુલામ રસુલ અને ઈમ્તિયાઝ ફકરુંમોહમદને મળેલી બાતમીના આધારે એસઓજીએ હસીના ઉર્ફે માયા સામોજી બાપુજી સિપાઈ(ઉ.વ.41,રહે.ઘર નં.11/688, અસલમભાઈના મકાનમાં,સિંધીવાડ,સોપારી ગલી,ચોકબજાર,સુરત.મૂળ રહે.ધ્રાંગધ્રા)ને ઝડપી લીધી હતી.હસીના ઉર્ફે માયાએ તેની બહેન મુમતાઝ સાથે મળી ફેબ્રુઆરી 2019 માં ગીર સોમનાથના ઉનાના ગરાળના પિતા-પુત્ર ભાણાભાઈ અમરાભાઈ પુરાણી-જીતુભાઈ સાથે મળી ઉનાના આમોદ્રા ગામના યુવાનને પોતાની માયાજાળમાં ફસાવી રૂ.1.52 લાખ લઇ મહારાષ્ટ્રની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા.જોકે, લગ્નના ત્રીજા દિવસે યોજના મુજબ યુવતી પહેરેલા દાગીના સાથે ભાગી ગઈ હતી.આથી ભોગ બનેલા યુવાને ભાણાભાઈ અને તેમના પુત્ર જીતુને વાત કરી હતી.
જોકે,તે સમયે પિતા-પુત્રએ તેને માર મારી ભાગી ગયેલી પત્ની બાબતે મ્હેણાંટોણાં મારતા તે યુવાને આઘાતમાં ઘરે જઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ અંગે ઉના પોલીસ સ્ટેશનમા લૂંટેરી દુલ્હન ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને છેતરપિંડીનો ગુનો નોંધાતા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી હતી.જયારે હસીના ઉર્ફે માયા અને તેની બહેન ફરાર થઈ ગયા હતા.સુરતમાં પરણેલી અને વર્ષ 2015 માં છૂટાછેડા લેનાર હસીના ઉર્ફે માયા પોલીસથી બચવા સતત ઘર બદલતી હોય બહેન સાથે સુરત રહેવા આવી ગઈ હતી અને સાડી ઉપર ટીક્કી અને સ્ટોન લગાવવાનું કામ કરતી હતી.

