અમદાવાદ કોરોના વાયરસનું એપીસેન્ટર બની ગયું છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 3 વ્યક્તિઓનાં મોત નિપજ્યા છે. તો 3 વ્યક્તિોઓ સ્વસ્થ પણ થઈ ગયા છે. તેવામાં સંક્રમણ વધારે ન ફેલાઈ તે માટે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. તેવામાં સરસપુરમાં પોલીસ કામગીરી દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં 3 લોકોને ઈજા પહોંચતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હજુ પણ લોકડાઉનની એટલી અસર જોવા મળતી નથી. પૂર્વ વિસ્તારમાં હજુ પણ લોકો રસ્તા પર અને સોસાયટીઓમાં ફરતાં જોવા મળે છે. તેવામાં પોલીસ દ્વારા પણ કડક કામગીરી કરવામાં આવી રહી છે. સરસપુરમાં પતરાવાળી ચાલીની પાસે પોલીસ રસ્તો બંધ કરાવવા ગઈ હતી ત્યારે લોકો સાથે માથાકૂટ થઈ હતી. આ સમયે અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.
પથ્થમારો થતાં જ અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ પથ્થરમારમાં ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો ઈજાગ્રસ્ત વ્યક્તિઓએ પોતાના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો થયો હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાત્રે સુરતમાં પણ પરપ્રાંતીય લોકોએ અસુવિધાને લઈ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. તેવામાં લોકડાઉન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ લોકોને ધીરજ રાખવા અપીલ કરવામાં આવી રહી છે.