– કોવિડ-૧૯ની સૌથી ખરાબ અસર દેશના લોકોની નોકરી પર પડશે
નવી દિલ્હી તા. ૧૮ : કોરોના વાયરસ અર્થવ્યવસ્થા માટે પણ ઘાતક સાબિત થયો છે.એક નવા રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોનાના કારણે ભારતમાં ૧૩.૫ કરોડ લોકોની રોજગારી છિનવાઇ શકે છે તો ૧૨ કરોડ લોકો ગરીબીરેખાની નીચે જતા રહેશે.ગ્રાહકોની આવક,ખર્ચ અને બચત પર તેની ખરાબ અસર થશે.
આંતરાષ્ટ્રીય મેનેજમેન્ટ કન્સલ્ટીંગ ફર્મ આર્થર કી લીટલના રિપોર્ટ અનુસાર,કોરોના વાયરસની સૌથી ખરાબ અસર ભારતના નબળા વર્ગ પર થશે. રોજગારી છિનવાશે,ગરીબી વધશે અને માથાદીઠ આવક ઘટશે.તેના લીધે જીડીપીમાં જોરદાર ઘટાડો થશે.રિપોર્ટમાં કહેવાયું છે કે કોવિંદ-૧૯ના સતત વધી રહેલા કેસોને જોતા અમારૂ અનુમાન છે કે ભારત W શેપમાં રીકવરી કરશે.તેના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં જીડીપીમાં ૧૦.૮ ટકાનું સંકોચન થશે અને ૨૦૨૧-૨૨માં જીડીપી ગ્રોથ ૦.૮ ટકા રહેશે.આ રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતમાં બેરોજગારીનો દર ૭.૬ ટકાથી વધીને ૩૫ ટકા સુધી પહોંચી શકે છે.તેનાથી ૧૩.૬ કરોડ લોકોની રોજગારી છિનવાઇ જશે અને દેશમાં કુલ ૧૭.૪ કરોડ લોકો બેરોજગાર બનશે.
લોકોને ગરીબીરેખાથી ઉપર લાવવાના અભિયાનને ઝટકો લાગશે અને લગભગ ૧૨ કરોડ લોકો ગરીબ થઇ જશે.જ્યારે ૪ કરોડ લોકો અત્યંત ગરીબ બની જશે.કોરોનાના કારણે ભારતને ૧ ટ્રીલીયન ડોલરનું નુકસાન થશે.રિપોર્ટમાં અર્થવ્યવસ્થાની રિકવરી માટે ૧૦ પોઇન્ટના કાર્યક્રમનું સૂચન પણ કરવામાં આવ્યું છે.તેમાં નાના,મધ્યમ કારોબારને બચાવવા,ગ્રામીણ અર્થવ્યવસ્થાને ફરીથી શરૂ કરવા અને જોખમવાળા સેકટરોને લક્ષિત મદદ કરવાનું સામેલ છે.