નવી દિલ્હી તા. ૮ : લોકડાઉન પૂરું થાય છે પછી શાળાઓમાં ‘ઓડ ઈવન’ સિસ્ટમ લાગુ કરવામાં આવી શકે છે.મતલબ કે, જે-તે દિવસે સ્કૂલમાં માત્ર ૫૦% હાજરી રહેશે.નેશનલ કાઉન્સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા લોકડાઉન બાદ ફરી શાળાઓ કેવી રીતે શરૂ કરવાની તેની યોજના ઘડવામાં આવી રહી છે.જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ,વ્યકિતગત અસેસ્મેન્ટ,ટીચિંગ-લર્નિંગ જેવા માર્ગદર્શક સિદ્ઘાંતોને ધ્યાનમાં રાખીને આવતા અઠવાડિયે MHRD (મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે.
સ્કૂલો અને વિદ્યાર્થીઓ વચ્ચેના ડિજિટલ અંતરની ચિંતાને જોતાં કાઉન્સિલ શૈક્ષણિક મટિરિયલ અને લાઈવ ઈન્ટરેકશન કન્ટેન્ટ ટીવી પર પ્રસારિત કરવાની યોજના બનાવે છે.આ માટે તેઓ ‘એક કલાસ,એક ચેનલ’ની રણનીતિ પર કામ કરી રહ્યા છે.NCERTના ડિરેકટર ઋષિકેશ સેનાપતિએ કહ્યું,અંતિમ ગાઈડલાઈન્સ પર MHRD નિર્ણય લેશે.તમામ હિસ્સેદારોને સાંકળી લઈને અનુકૂળ વાતાવારણ ઊભું કરવાનો અને વિદ્યાર્થીઓના ભણતર પર અસર ના થાય તેવી યોજના બનાવવાનો વિચાર છે.વિવિધ ગ્રુપ ગાઈડલાઈન્સને અંતિમ રૂપ આપવામાં લાગ્યા છે અને સોમવારે ડ્રાફટ MHRD સમક્ષ રજૂ કરાય તેવી સંભાવના છે.’ઓડ ઈવન’ સિસ્ટમ ઉપરાંત બીજો વિકલ્પ ધ્યાને આવ્યો છે તે છે ઓલ્ટરનેટ અઠવાડિયાની વ્યવસ્થાનો.ઋષિકેશ સેનાપતિએ કહ્યું, ‘ગાઈડલાઈન્સમાં એ બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવશે કે ઘરે રહેતા વિદ્યાર્થીઓ શું કરશે.એક વિકલ્પ એવો છે કે,સ્કૂલો ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખે અને વિદ્યાર્થીઓને અસાઈનમેન્ટ અને એકિટવિટી કરાવતા રહે.’ગાઈડલાઈન્સમાં સ્કૂલ મેનેજમેન્ટ,શિક્ષકો,પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ કરીને તેમને જવાબદારી સોંપાય તેનું ધ્યાન રાખવામાં આવશે.પરીક્ષા માટે પણ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે જેથી બધા વિદ્યાર્થીઓ એક જ દિવસે પરીક્ષામાં બેસે તેવી સ્થિતિ પેદા ના થાય.આ ઉપરાંત ઈત્તર પ્રવૃત્તિઓ,સભાઓ અને ટીમ સ્પોર્ટિંગ ઈવેન્ટ્સ પર કાપ મૂકવામાં આવશે.ધોરણ ૧થી ૮ના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકાર ૧૨ શૈક્ષણિક ચેનલો ફાળવવાનું વિચારી રહી છે.

