ગાંધીનગર : અમદાવાદમાં ટ્રાફિક નિયમન સરળતાથી થાય અને લોકોને વાહન ચલાવવામાં વધુ સગવડતા મળે તે માટે અમદાવાદ શહેર પોલીસે ઘડેલી‘એરિયા એડોપ્શન સ્કીમ’મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી હતી.આ સ્કીમ શહેરના વિવિધ વિસ્તારોમાં તબક્કાવાર લોન્ચ કરાશે.આ એરિયા એડોપ્શન સ્કીમ શરૂ થવાથી જે-તે સ્થાનિક વિસ્તારના જનસહયોગ અને સૂચનોથી ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે.
અમદાવાદ શહેર પોલીસે જવાનોને સ્ટ્રેસ મેનેજમેન્ટ,કાયદા-નિયમો,બિહેવિયરલ ટ્રેનિંગ જેવા વિષયો પર તાલીમ આપવાનો નવતર અભિગમ અપનાવી એક દિવસીય સેમિનાર‘પહેલ’નું આયોજન કર્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ સૌજન્યશીલ,સૌહાર્દપૂર્ણ બને તેમજ પોલીસ પ્રજાના મિત્ર તરીકે પ્રજા સાથે,પ્રજા માટે,પ્રજા પડખે છે તે ભાવના જનમાનસમાં જાગે તેવા આશયથી વિવિધ વિષય નિષ્ણાંતો,પદાધિકારીઓ,પોલીસ અધિકારીઓ આ એક દિવસીય સેમિનારમાં સામૂહિક ચિંતન મનન કર્યું હતું.
મુખ્યમંત્રીએ‘પહેલ’સેમિનારનો પ્રારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી,અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર અને અમદાવાદ શહેર પોલીસ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.ગાહેડ અને ક્રેડાઈ આ સેમિનારના સહયોગી બન્યા હતા.શહેરમાં ટ્રાફિક અવેરનેસ અને વ્યવસ્થાપન બાબતે દાયકાઓથી સક્રિય રહેલા મહાનુભાવોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું