– કોંગ્રેસના લિંગદોહના નેતૃત્વમાં 5 ધારાસભ્યો સીએમ સંગમાની નેશનલ એનપીપીમાં જોડાયા
– આ એનપીપીમાં ભાજપ પહેલાથી ભાગીદાર, રાજકારણમાં બધુ જ શકય છે
શિલોંગ,8 ફેબ્રુઆરી,2022,મંગળવાર : રાજકારણમાં દોસ્તી કે દુશ્મની કાયમી હોતી નથી. ભારતમાં પ્રાદેશિક પક્ષો કેટલાક રાજયોમાં સરકાર ચલાવે છે પરંતુ દેશનું રાજકારણ ભાજપ અને કોંગ્રેસ એમ બે મુખ્ય રાજકિય પક્ષોની વિચારધારામાં જોડાયેલું છે. ભાજપ અને કોંગ્રેસ એક પ્રજાની કટ્ટર રાજકિય પ્રતિસ્પર્ધી છે પરંતુ પૂર્વોત્તર રાજય મેઘાલયમાં કોંગ્રેસ-ભાજપા અને તેઓ જેમાં જોડાયા છે એ ગઢબંધન ભેગા મળીને સરકાર ચલાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
મેઘાલયમાં કોંગ્રેસના એમ્પીયરન લિંગદોહના નેતૃત્વમાં પાંચ ધારાસભ્યો મુખ્યમંત્રી કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ના નેતૃત્વમાં ચાલતા ગઢબંધનમાં જોડાયા છે.આ ગઢબંધનમાં ભાજપ પણ જોડાયેલું જ છે.પ્રાપ્ત વિગતો મુજબ એનપીપી અને કોંગ્રેસ પહેલાથી પરંપરાગત રીતે હરિફ રહયા છે પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસમાં કોંગ્રેસના 12 વિધાનસભ્યો જોડાયા પછી બંને પાર્ટીઓ નજીક આવી હતી.કોંગ્રેસ વિધાયક દળના નેતા લિંગદોહે એવી જાહેરાત કરી છે કે તેઓએ કોનાર્ડ સંગમાના નેતૃત્વવાળા એનડીએને ટેકો આપ્યો છે.અમે સરકારને મજબૂત સ્થિતિમાં રાખવા માટે આમાં જોડાયા છીએ.આ અંગે વિધાનસભ્યોના હસ્તાક્ષર લઇને એક પત્ર પણ પાઠવવામાં આવ્યો છે, એવી પણ આશા રાખી હતી કે પાર્ટી અને હાઇ કમાંડ પોતાના આ નિર્ણયનું સ્વાગત કરશે.
મેઘાલયમાં 2018ની ચુંટણીમાં કોંગ્રેસ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવેલો
2018માં મેઘાલય વિધાનસભાની ચુંટણી થઇ હતી જેમાં કોંગ્રેસ 21 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો પરંતુ સરકાર બનાવવામાં સફળતા મળી ન હતી.ભાજપે નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિકસ એલાયંસનેની સાથીદાર એનપીપી સાથે જોડાઇને કોંગ્રેસને રાજકિય માત આપી હતી.મેઘાલયમાં બીજી ચુંટણી આવે તે પહેલા તો વેર વિખરે થઇ ગઇ છે.કુલ 21માંથી 12 સભ્યો તૂણમુલમાં જોડાઇ ગયા હતા. હવે પાંચ સભ્યોએ પણ શેહ આપી હોવાથી વિપક્ષમાં પણ રહી નથી.મમતા બેનરજીની તૃણમુલ કોંગ્રેસ મેઘાલયમાં વિપક્ષ પદ સંભાળે છે.