– ગ્રાંટમાંથી રૂ. 29.63 લાખની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ હતી
નવસારી : વંકાલ ગામના રસ્તા,ગટર બાંધકામ માટે ખોટા બીલ રજૂ કરી વર્ષ 2012-13થી 2016-17 દરમિયાન ઉચાપત કર્યાની ફરિયાદ ગામના આગેવાન દ્વારા કરાઈ હતી. આ ફરિયાદમાં માજી સરપંચ અને તત્કાલિન તલાટી વિરૂદ્ધ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.ચીખલી તાલુકાના વંકાલ ગામના મધ્યા ફળિયાના રહીશ દિનેશભાઇ છોટુભાઈ પટેલ દ્વારા નવસારી સ્પેશ્યલ સેશન્સ કોર્ટમાં વંકાલ ગામના માજી સરપંચ દિપકભાઈ ધનજીભાઈ પટેલ તથા તત્કાલિન તલાટી કમ મંત્રીએ એકબીજાના મેળાપીપણામાં વંકાલ ગામના રસ્તા તથા ગટર બાંધકામ માટે ખોટા બીલ રજૂ કરી ગામના વિકાસ માટે સરકાર તરફથી સને 2012-13થી 2016-17 સુધીમાં આવેલી ગ્રાંટની રકમમાંથી રૂ. 29,63,950ની ઉચાપત કરી હોવાની ફરિયાદમાં એસીબી દ્વારા સીઆરપીસી કલમ 156 (3) મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ફરિયાદમાં 2015-16ના ઓડિટ રિપોર્ટમાં 2જી નવેમ્બર 2015ના વાઉચર નંબર-24માં રૂ. 2,42,204 મુકેશભાઈ બી.પટેલના નામે લખેલા છે અને જય બજરંગ પાઇપ, ભાવની સ્ટીલ, પાટીદાર ટ્રેડિંગ કંપની, ગોહિલ કાટિંગના નામે બીલો મુકવામાં આવ્યા છે. જેમાં પાટીદાર ટ્રેડિંગ કંપની, ભાવની સ્ટીલ, ભગવતી સ્ટીલ, જય બજરંગ પાઈપ એ કોઈપણ પ્રકારની ગ્રામ પંચાયત વંકાલમાં કોઈ રકમની લેતી દેતી કરી નથી તેમ પણ જણાવાયું છે.
આ ફરિયાદમાં એસીબી દ્વારા તપાસ માટે ગત ઓકટોબર માસમાં જિલ્લા વિકાસ અધિકારી પાસે મંજૂરી માંગવામાં આવતા નવેમ્બર-20માં તપાસ માટે ડીડીઓ દ્વારા મંજૂરી આપવામાં આવતા હાલ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.નવસારી એસીબી પીઆઇ બી.જે.સરવૈયાના જણાવ્યાનુસાર વંકાલ ગામના માજી સરપંચ અને તત્કાલિન તલાટી વિરૂદ્ધ તપાસ ચાલુ છે.


