દેશમાં કોરોના કાળના અંતિમ તબકકાના સંકેત છે તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં તેના બે દિવસના પ્રવાસે ગાંધીનગર પહોંચી ગયા છે.મોદી દેશના ઘડવૈયા સમાન સરદાર વલ્લભભાઇ પટેલની 14પમી જન્મજયંતિના કેવડીયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના ખાસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે જેમાં આવતીકાલે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદારને શ્રદ્ધાંજલી ઉપરાંત રાષ્ટ્રીય એકતા પરેડની સલામી પણ લેશે અને કેવડીયા કોલોનીથી અમદાવાદ રીવરફ્રન્ટ વચ્ચેની સી-પ્લેન સેવાનો પ્રારંભ કરશે.મોદીએ આજે સવારે 10 વાગ્યે તેમના નિર્ધારીત કાર્યક્રમ મુજબ અમદાવાદ આવી પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે મોદી ગાંધીનગરમાં ગઇકાલે દિવંગત થયેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિવાસે પહોંચીને સદગતને શ્રદ્ધાંજલી આપી હતી તથા તેના પરિવારને શાંત્વના આપી હતી. મોદીનું વિમાની મથક ખાતે રાજયપાલ દેવવ્રત આચાર્ય,મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યુ હતું. તથા તેમના કાફલા સાથે કેશુભાઇ પટેલના નિવાસસ્થાને પહોંચ્યા હતા.મોદીએ કેશુભાઇના નિવાસસ્થાને અંદાજે 30 મીનીટ વિતાવી હતી અને બાદ તેઓ કોરોના સંક્રમીત બનીને દિવંગત થયેલા ગુજરાતની લોકપ્રિય અભિનેતા બેલડી મહેશ કનોડીયા તથા નરેશ કનોડીયાને શ્રદ્ધાંજલી આપવા પણ તેમના નિવાસે ગયા હતા. કનોડીયા બંધુનું છેલ્લા ચાર દિવસમાં કોરોનાના કારણે નિધન થયું છે અને બંને ભાઇઓ ભાજપના સક્રિય સભ્યો ઉપરાંત મહેશ કનોડીયા સાંસદ તરીકે અને નરેશ કનોડીયા ધારાસભ્ય તરીકે પણ રહી ચુકયા છે. મોદી શ્રદ્ધાંજલી આપ્યા બાદ અમદાવાદના રીવરફ્રન્ટ ખાતે પહોંચીને અહીં જે વોટર એરપોર્ટ તૈયાર કરાયું છે તેનું પણ નિરીક્ષણ કરશે અને બાદમાં તેઓ સીધા એરપોર્ટ પરથી કેવડીયા કોલોની ખાતે જવા રવાના થશે.મોદી આજે બપોર બાદ કેવડીયા કોલોની ખાતેના અનેકવિધ કાર્યક્રમોમાં સામેલ થશે તેઓ આવતીકાલે સવાર સુધીમાં કેવડીયા ખાતે 17 જેટલા વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કરશે જેમાં આરોગ્ય વન તથા એકતા મોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશ્યન પાર્ક, જંગલ સફારી, એકતા ક્રુઝ અને અહીં ડેમ ખાતેની ડાયનામીક લાઇટીંગ સિસ્ટમનો પ્રારંભ કરશે. મોદી કેવડીયા કોલોની ખાતે રાત્રી રોકાણ કરનાર છે અને આવતીકાલે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરશે તથા બાદમાં અહીં ભારતીય સલામતી દળો દ્વારા આયોજીત એકતા પરેડની સલામી પણ ઝીલશે અને બપોરે તેઓ અમદાવાદ પહોંચી દિલ્હી જવા રવાના થઇ જશે.
મોદીના આગમન સાથે અમદાવાદથી લઇ કેવડીયા કોલોની ખાતે જબરી સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. આવતીકાલે મોદી કેવડીયા કોલોનીથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદના રીવરફ્રન્ટમાં ખાસ તૈયાર કરાયેલા સી-એરપોર્ટમાં લેન્ડીંગ કરશે અને આ સાથે ગુજરાતમાં ટુરીઝમ માટે એક નવી સેવાનો પ્રારંભ થશે અને દેશ-વિદેશના પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ પણ ઉમેરાશે.
વડાપ્રધાને વિમાનમાંથી ઉતરતા જ માસ્ક પહેર્યું : સોશ્યલ ડિસ્ટન્સ સાથે અભિવાદન ઝીલ્યું
દેશભરમાં કોરોના કાળમાં લોકોને સતત દો ગજની દુરી જાળવી રાખવા અને માસ્ક પહેરવા માટે વડાપ્ર્રધાન નરેન્દ્ર મોદી સતત અનુરોધ કરતા રહે છે અને જ્યાં સુધી વેકસીન ન આવે ત્યાં સુધી સાવચેતી આપણી વેકસીન છે તેવો સંદેશ આપતા રહે છે. આજે શ્રી મોદી અમદાવાદ ખાતે વિમાની મથકે પહોંચ્યા બાદ તેઓએ વિમાનની સીડી ઉતરતા સમયે જ હાથમાં રહેલું માસ્ક પહેરી લીધુ હતું એટલું જ નહીં તેઓએ સ્વાગત કરવા માટે વિમાની મથકે પહોંચેલા રાજયપાલ તથા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોથી દો ગજની દુરી રાખીને જ અભિવાદન ઝીલ્યું હતું અને આ રીતે વડાપ્રધાને ગુજરાત અને દેશના લોકોને કોરોના સાવચેતીનો વધુ એક સંદેશ આપી દીધો છે.


