સુરત : પાંડેસરા-વડોદ રોડ સ્થિત સાંઇ ફકીરા ગ્રાઉન્ડ પાસે આઇસ્ક્રીમની લારી વાળાએ કુલ્ફીના પૈસા માંગતા બાઇક સવાર ત્રણ અજાણ્યાએ ચપ્પુના ઘા ઝીંકી હત્યાના પ્રયાસ કરતા પાંડેસરા પોલીસ દોડતી થઇ ગઇ છે.પાંડેસરાના મિલન પોઇન્ટ નજીક જય અંબે નગર સોસાયટીમાં રહેતો સુરજકુમાર અમરબહાદુર યાદવ (ઉ.વ. 23 મૂળ રહે. ખુનશેખપુર, જિ. સુલતાનપુર, યુ.પી) વડોદ ગામ રોડ સ્થિત સાંઇ ફકીરા ગ્રાઉન્ડ પાસે આઇસ્ક્રીમની લારી ચલાવે છે.ગત રાતે 8 વાગ્યાના અરસામાં બાઇક પર ત્રણ અજાણ્યા કુલ્ફી ખાવા આવ્યા હતા. કુલ્ફી ખાધા બાદ પૈસા નહીં આપતા સુરજે ત્રણેયને પૈસા તો આપવા પડશે એમ કહ્યું હતું.જેથી ત્રણેયે સુરજ સાથે ઝઘડો કરી બે જણાએ પકડી રાખી ત્રીજાએ ગળા, છાતી અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ભાગી ગયા હતા.ઇજાગ્રસ્ત સુરજે આ અંગેની જાણ તેના રૂમ પાર્ટનર એવા માસા બિરેન્દ્રકુમાર બેચનપ્રસાદ યાદવ (ઉ.વ. 49 મૂળ રહે. શેખપુર, તા. કાદીપુર, જિ. સુલતાનપુર, યુ.પી) ને જાણ કરી હતી.બરફનો ધંધો કરતા બિરેન્દ્રએ તુરંત જ વડોદ વિસ્તારના પોતાના ગ્રાહકોને જાણ કરી સુરજ પાસે મોકલાવ્યા હતા અને સુરજને તુરંત જ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સુરજ પંદર દિવસ અગાજ નોકરીની શોધમાં આવ્યો હતો અને તેની માસીના સંબંધી બિરેન્દ્ર સાથે રહેવાની સાથે આઇસ્ક્રીમનો ધંધો શરૂ કર્યો હતો.