– ચંદ્રિકા સોલંકી,અરવિંદ કેજરીવાલજીના હસ્તે વિધિવત રીતે ‘આપ’ની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા
– ચંદ્રિકા સોલંકીએ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બંગડી ફેંકી હતી ત્યારથી ચર્ચામાં આવ્યા
રાજનિતીમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે.કોઇ રાજકીય નેતા રિક્ષાવાળાને ત્યાં જમવા જાય છે તો થોડા દિવસ પછી એ જ રિક્ષાવાળો બીજી પાર્ટીના નેતાઓની સભામાં જોવા મળે છે.એટલે કે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે અનેક ઉથલ પાથલ જોવા મળે છે.વર્ષોથી એક પાર્ટીમાં રાજ કરતા નેતાઓ ક્યારે પાર્ટી બદલી નાખે તેનો કોઇ ભરોસો હોતો નથી.એટલે કે ચૂંટણી નજીક આવતા જ પક્ષપલટો અને ભરતી મેળાની મોસમ પણ શરૂ થાય છે.ત્યારે હવે એવી એક વ્યકિત આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે તેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક સમયે બંગડી ફેંકી હતી અને વિવાદમાં આવ્યા હતા.
વર્ષ 2017માં ચંદ્રિકાબેન સોલંકીએ વડાપ્રધાન પર બંગડી ફેંકી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇતિહાસમાં કોઇ મહિલાએ તેના પર બંગડી ફેંકી હોય તેવો કિસ્સો વડોદરામાં બન્યો હતો. 2017માં અપક્ષ ઉમેદવાર ચંદ્રિકા સોલંકીએ વડાપ્રધાન ઉપર બંગડીઓ ફેંકીને સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ અને તેણે પોતાનું ચૂંટણી ચિન્હ પણ બંગડી રાખ્યુ હતુ.હવે આ જ ચંદ્રિકાબેન સોલંકીએ આજે આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડ્યુ છે.અને ચંદ્રિકાબેન સોલંકીએ અરવિંદ કેજરીવાલજીના હસ્તે વિધિવત રીતે ‘આપ’ની ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આ ઘટના બાદ નોકરીમાંથી રાજીનામું આપ્યુ હતુ
પીએમ મોદી પર બંગડી ફેંકવાની ઘટના બાદ ચંદ્રિકા સોલંકીને સરકાર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાના આરોપસર નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયાં હતાં.ચંદ્રિકા છોટા ઉદેપુરના સંખેડાના કોટાલીની પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતાં.પોતાના રાજીનામામાં તેમણે જણાવ્યું હતું કે, સસ્પેન્શનના આઘાતમાં આવી તેઓ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી રહ્યાં છે.ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા પાંખના પ્રમુખ ચંદ્રિકાબેન 2001થી શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યાં હતાં. 22મી ઓક્ટોબરના રોજ પીએમ મોદીએ વડોદરામાં રોડશો કર્યો ત્યારે વુડા સર્કલ પાસે તેમણે પીએમના કાફલા પર બંગડીઓ ફેંકી હતી.રાયોટિંગના ગુનામાં પોલીસે તેમને બે દિવસ કસ્ટડીમાં રાખ્યા બાદ તેમનો જામીન પર છૂટકારો થયો હતો.
ચંદ્રિકા સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા
હવે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આશા વર્કર (માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા)ના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ચંદ્રિકાબેન સોલંકી અરવિંદ કેજરીવાલજીની મુદ્દાની રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ચંદ્રિકાબેન કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર સંઘર્ષ સમિતિની મહિલા વિંગના પ્રમુખ છે.તેઓ ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયક (લર્નિંગ આસિસ્ટન્ટ) તરીકે પણ કામ કરી ચુક્યા છે.
ચંદ્રિકાબેન સરકારથી નિરાશ આશા વર્કરની દરેક માંગ અને સમસ્યાઓ સાથે અરવિંદ કેજરીવાલજી પાસે ગયા હતા ત્યાં અરવિંદ કેજરીવાલજીએ ચંદ્રિકાબેનને વિશ્વાસ અપાવ્યો હતો કે 8 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ 15 ડિસેમ્બરે જ્યારે સરકાર બનશે તે પછી વહેલી તકે આશા વર્કર બહેનોની દરેક માંગણી પુરી કરવામાં આવશે.આમ આદમી પાર્ટીના પરિવારને ખુશી છે કે ચંદ્રિકાબેન જેવા સમાજસેવી જનતાની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.