વડોદરા,તા. 4 મે 2022,બુધવાર : વડોદરામાં નિયત સ્થળોએ પડતા ચમત્કારિક ભુવા અને ખોદકામ સંદર્ભે શહેરના જાગૃત નાગરિકે તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી ભ્રષ્ટાચારનો ભાંડાફોડ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત કારેલીબાગ પાણીની ટાંકીના ચાર રસ્તા પાસે સમારકામ અને પ્રત્યેક વર્ષે ચમત્કારિક ત્રણ ભુવા લોકમુખે ચર્ચાનો વિષય બન્યા છે.વડોદરા શહેરમાં નિયત સ્થળોએ વારંવાર ખોદકામ અને ભુવા પડવાના સિલસીલામાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે.વડોદરા કોર્પોરેશન દ્વારા કોઈકને કોઈક કારણોસર નવો બનેલો રસ્તો ઘણી વખત ખોદી નાખવામાં પણ આવે છે.પરિણામે કોન્ટ્રાક્ટર પોતાની મેન્ટેનન્સની જવાબદારીમાંથી પણ છૂટો થઈ જાય છે.તો બીજી તરફ જે સ્થળે ભૂવા પડયા હોય અથવા કામગીરી હાથ ધરી હોય ત્યાં ફરી વખત સમારકામ હાથ ધરવાની નોબત આવે છે અથવા રસ્તો બેસી જતા ભુવાનું નિર્માણ થાય છે.કેટલાક નિયત સ્થળોએ આ પ્રકારનું ચક્ર કાર્યરત રહેતા નાગરિકો પરેશાન થવાની સાથે વિપુલ પ્રમાણમાં નાણાંનો વેડફાટ થાય છે.તાજેતરમાં જ ભુતડીજાપા શ્રીનાથ પેટ્રોલપંપ પાસે ત્રણ ચમત્કારિક ભુવા દર્શાવ્યા હતા.કારણ કે પ્રત્યેક વર્ષે આ ભુવાઓનું નિર્માણ થાય છે.તેની પાછળનું કારણ સંકલનના અભાવે સાથે અધિકારી કોન્ટ્રાક્ટરની મિલીભગતી છે.હજુ બે મહિના અગાઉ જ આ સ્થળે સમારકામ કર્યું હોવા છતાં ફરી ત્યાં રસ્તો બેસી ગયો છે અને ટૂંક સમયમાં ભુવાનું નિર્માણ થશે.તેવી જ રીતે કારેલીબાગ પાણીની ટાંકીના મુખ્ય ચાર રસ્તા ઉપર દોઢ વર્ષમાં ત્રીજી વખત ખોદકામ કરવામાં આવ્યું છે.જેમાં બે વખત નવો બનેલો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે.કોર્પોરેશનના અણઘડ આયોજનના કારણે પ્રજાના પરસેવાની કમાણીના લાખો રૂપિયાનો વેફાટ થઈ રહ્યો છે. ત્યારે આ અંગે શહેરના જાગૃત નાગરિક અતુલભાઇ ગામેચીએ તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી ભ્રષ્ટાચારનો ભાંડાફોડ કર્યો હતો.