રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં ઉમેદવારીપત્રો ચકાસણીને કામગીરી ગઈકાલે મોડી રાત સુધી ચાલી હતી જેમાં ચાર મહાનગર પાલિકામાં કોંગ્રેસના સાત ફોર્મ રદ થયા છે.આજે ઉમેદવારીપત્ર પાછા ખેંચાશે.ત્યારબાદ જ મહાનગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થશે.ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમ અનુસાર ઉમેદવારીપત્રોની ચકાસણી ગઈકાલ મોડી રાત સુધી ચાલી હતી.રાત્રિના નવ વાગ્યા સુધીમાં 2000થી વધુ ફોર્મ રદ થયાના અહેવાલ ચૂંટણી પંચ સાથે સંકળાયેલા સૂત્રો માંથી મળી રહ્યા છે.અત્રે નોંધવું જરૂરી છે કે 576 બેઠકો માંથી એક પણ બેઠક બિનહરીફ થઇ નથી.
રાજ્યની 6 મહાનગર પાલિકામાં ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થયા બાદ 576 બેઠકો પર 4891 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.ગઈકાલે દિવસ પર ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન 2000થી વધુ ફોર્મ રદ થયા હોવાની વિગતો સાંપડી રહી છે.ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસમાં જેમને મેન્ડેડ આપ્યા હતા તેવા ઉમેદવારોએ ફોર્મ ભરવાનો ઇનકાર કરતાં પહેલાથી જ સુરતમાં કોંગ્રેસના તમામ બેઠકો પર લડી શકી નથી.અમદાવાદમાં કોંગ્રેસના બે ઉમેદવાર અને રાજકોટ માં બે ભાવનગરમાં એક અને જામનગરમાં બે એમ કુલ સાત ઉમેદવારોનાં ફોર્મ રદ થયા છે.આથી તેઓ વડોદરા સિવાય અને એક પણ કોર્પોરેશનમાં કોંગ્રેસ તમામ બેઠકો પર ચૂંટણી લડી શકશે નહીં.અથવા તો ડમી ઉમેદવારો પર ચૂંટણી લડવી પડે તેવી સ્થિતિનું નિમર્ણિ કોંગ્રેસ માટે થયું છે.હરિફ ઉમેદવાર તરફથી ઉઠાવેલા વાંધા સોગંદનામાની ભૂલો તેમજ બે થી વધુ બાળકો હોવાના કારણે સોમવારે છ મહાનગર પાલિકામાં 2000થી વધુ ઉમેદવારોનાં ફોર્મ રદ થયા છે.મોડી રાત સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ચાલી હતી.આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો દિવસ હોવાથી બપોરે 3 વાગ્યા સુધીમાં કોણ કોની સામે લડશે તેનુ ચિત્ર સ્પષ્ટ થશે.
ભાવનગર કોર્પોરેશન ચૂંટણી જંગમાં 192 ફોર્મ રદ, સાચા લડવૈયા કેટલા તે આજે સ્પષ્ટ થશે
ભાવનગર મહપાલિકાની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં ભાજપ્ના તમામ 52 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યાં છે જ્યારે કોંગ્રેસનું એક ફોર્મ બાદ કરતા 51 ઉમેદવારના 51 ફોર્મ માન્ય રહ્યાં છે.અન્ય 109 અને અપક્ષના 9 મળી કુલ 221 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. હવે આજે ફોર્મ પરત ખેંચવા માટે અંતિમ દિવસ છે ત્યારે કેટલા ઉમેદવારો ચૂટણીના મેદાનમાં રહે છે અને કેટલા ખસી જાય છે તેનું ચિત્ર સાંજ સુધીમાં ક્લીયર થઈ જશે.શહેરમાં 13 વોર્ડમાં 52 ઉમેદવારોની ચૂંટણી માટે ભરેલા ફોર્મની સોમવારે ચકાસણી હતી જેમાં જો કે હજી આવતી કાલ તા.9 ફેબ્રુઆરીને મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાના દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.
પોરબંદર,બોટાદ,ગીર સોમનાથ,જુનાગઢ જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકો નિમાયા
આગામી તારીખ 28ના રોજ યોજાનાર જિલ્લા તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર બોટાદ સહિત 10 જિલ્લામાં નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે.રાજ્યના અધિક કર કમિશનર સી.એમ.ત્રિવેદીને પોરબંદર જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયતો અને પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે બોટાદ જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત અને બોટાદ બરવાળા નગરપાલિકા માટે નેશનલ ન્યુટ્રીશનના ડાયરેક્ટર રાકેશ વ્યાસને નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં પંચાયતો ઉપરાંત વેરાવળ સુત્રાપાડા ઉના અને તાલાળા નગરપાલિકાના નિરીક્ષક તરીકે ઇન્ડેક્ષટ-સી ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડી.એમ. શુક્લાને મુકવામાં આવ્યા છે.જૂનાગઢ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતો કેશોદ નગરપાલિકા અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે બેઠકની પેટા ચૂંટણી માટે સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડેપ્યુટી ડાયરેક્ટર એમ.પી. પંડ્યાને નિરીક્ષક તરીકે મૂકવામાં આવ્યા છે.