– ભાજપ,કોંગ્રેસમાંથી એક પણ ટિકિટ ન આપતા નારાજગી
– ચૂંટણીમાં ભાજપને મત ન આપવાનો લીધો નિર્ણય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે હજી પણ ટિકીટ વહેચણીને લઈ કેટલાક લોકોમાં નારાજગી યથાવત્ જોવા મળી રહી છે.જેને લઈને અનેક જગ્યાઓ પર વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.આવા જ વિરોધના સૂર જામનગર જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે.જેમાં ભાજપ કે કોંગ્રેસ તરફથી સતવારા સમાજને એક પણ ટિકિટ ન આપતા નારાજગી જોવા મળી રહે છે.જેને લઈને જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખે તેમના પદેથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 44 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા અને હાલ જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણે જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે.જામનગર ગ્રામ્ય બેઠક પર સતવારા સમાજની દાવેદારી હતી.જામનગર ગ્રામ્ય બેઠક પર સતાવાર સમાજના 35,000 જેટલા મતદારો છે.આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાંથી સતવારા સમાજના નેતાઓએ ટિકિટ માગી હતી.જો કે બંનેમાંથી એકપણ પક્ષે ટિકિટ આપી ન હોવાથી સતવારા સમાજ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે.
જામનગર સતવારા સમાજના પ્રમુખ ભનુભાઈ ચૌહાણ રાજીનામું આપતા જણાવે છે કે, અમારા સમાજના કોઈપણ છોકરાને હોદ્દા માટે 10 વર્ષથી અમારી રજૂઆત ચાલ્યા કરે છે. હા હા કરે છે.પણ આપતા નથી.અમારા સમાજ સાથે પુષ્કળ અન્યાય થઈ રહ્યો છે.એટલે મેં પ્રમુખ તરીકે પણ ઘણી રજૂઆત કરી,તેમ છતાં પક્ષે કોઈ રજૂઆત માન્ય ન રાખી.એટલે હું ભાજપના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપું છું.હું ગામો ગામ જઈ મારા સમાજને નિર્ણય અપાવીશ.અત્યારે ભાજપને મતદાન નથી કરવાનું.જે જીતતો હોય તેને ટેકો આપવાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે નો રિપીટ કરતા કેટલાક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.બીજી તરફ કોંગ્રેસમાં પણ ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી છે.ચૂંટણી ટાણે વિરોધી મતદાનની વાતો થતા હાલ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.રાજકીય પાર્ટીઓ એક સાંધે તો બીજું તૂટે જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.ત્યારે આ ખરાખરીની ટક્કરમાં બાજી કોણ મારશે તે જોવું રહ્યું.