મુંબઈ : મુંબઈને પાણી પુરવઠો પુરો પાડતા ૭ જળાશયોમાં હવે ફક્ત ૯.૮૯ ટકા જ પાણી બચ્યું છે,જે માંડ ૧ મહીનો ચાલે એટલું છે.આ વરસે અત્યાર સુધીમાં જળાશયો(લેક્સ)ના જળગ્રાહ્ય વિસ્તારોમાં બહુ થોડો વરસાદ થયો હોવાથી છેલ્લા ૨ વરસની સરખામણીમાં તળાવોમાં ઓછું પાણી છે.બીએમસીના સૂત્રોના જણાવવા મુજબ જળાશયોમાં વરસાદ થાય એ માટે પાલિકા એક અઠવાડીયું રાહ જોશે અને ત્યાર બાદ પાણીકાપનો નિર્ણય લેશે.
એમસીના જણાવવા મુજબ ૭ તળાવો- અપર વૈતરણા,મોડકસાગર,તાન્સા,મિડલ વૈતરણા,ભાત્સા,વિહાર અને તુલસીમાં બધું મળીને ૧.૪૩ લાખ મિલિયન લિટર પાણી શેષ છે.’હા,વરસાદની ખાધ છે અને જળાશયોમાં પાણી પુરવઠો ઘટી રહ્યો છે.પરંતુ અમે હજુ સુધી પાણીકાપ અંગે કોઈ નિર્ણય નથી લીધો’એમ બીએમસીના હાયડ્રોલિક ડિપાર્ટમેન્ટનાં ચીફ એન્જિનીયર સંજય આર્ઠેએ કહ્યું હતું.મહાપાલિકાના અધિકારીઓના જણાવવા મુજબ અપર વૈતરણા ડેમમાં એટલો પાણી પુરવઠો નથી બચ્યો કે એ ખેંચીને શહેરને સપ્લાય કરી શકાય.જ્યારે તાન્સા ડેમમાં ફક્ત ૩.૮૩ ટકા પુરવઠો શેષ છે.અત્રે નોંધવું ઘટે કે ૨૨ જુન,૨૦૨૧ના રોજ ૭ તળાવોમાં ૧૫.૧૫ ટકા એટલે કે ૨.૧૯ લાખ મિલિયન લિટર પાણી હતું.જ્યારે એના પહેલાના વરસે જળાશયોમાં ૧૦.૪૪ ટકા એટલે કે ૧.૫૧ લાખ મિલિયન લિટરનો પુરવઠો હતો.