નારગોલ-ઉમરગામ, મરોલીના સ્થાનિક માછી સમાજના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રથી આવેલી 23 બોટના 1500થી વધુ માછીમાર ખલાસીને નારગોલ બંદરે ઉતારવામાં આવ્યા હતા. જે બાદ આરોગ્ય ખાતાની ટીમ દ્વારા તમામનું થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું અને 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
વલસાડના નારગોલમાં 1800માંથી 1123 માછીમાર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રથી નારગોલ 1800 જેટલા માછીમારો આવ્યા હતા. મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યના માછીમારોને પરત મોકલાશે. એક માછીમારમાં કોરોનાના લક્ષણ દેખાતા દાખલ કરાયા હતા.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઉમરગામ, નારગોલ અને મરોલી કાંઠાના ગામના લોકો અને માછી સમાજના વિરોધના કારણે સૌરાષ્ટ્રથી ખલાસીઓ ભરીને આવેલી બોટ ઉમરગામના મધદરિયે છેલ્લા બે દિવસથી અટવાઈ પડી હતી. આ બોટમાં ઉમરગામ તાલુકાના સ્થાનિક માછીમારો ખલાસી ભાઈઓ હોવાથી મંત્રી રમણભાઇ પાટકરે સ્થાનિક માછીમારો અને વહીવટી તંત્ર સાથે ચર્ચા વિચારણા કરી હતી. જે બાદ આખરે રવિવારે સવારે ઉમરગામ નારગોલ બંદરે 23 જેટલી બોટને લંગારાઈ હતી. જેમાના અંદાજે 1500 જેટલા ખલાસીઓને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ઉતારવામાં આવ્યા હતા.
આ તમામ ખલાસીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ સ્કેનિંગ કરવામાં આવ્યું હતું અને તમામ સ્થાનિક ખલાસીઓને પોતાના ઘરે મોકલી 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન કરી દેવાયા હતા. આ તમામ ખલાસીઓ સ્વસ્થ હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. જ્યારે એક ખલાસીને તાવ, શરદી અને ખાંસીનાં લક્ષણો જણાતા તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
આ બોટમાં વલસાડ-નવસારી અને બીલીમોરાના પણ ખલાસીઓ હતા. તેઓને ધોલાઈ બંદરે ઉતારવામાં આવ્યા હતા. વધુમાં આ બોટમાં ઉમરગામ તાલુકાને અડીને મહારાષ્ટ્રના ગામડાઓના પણ અંદાજે ત્રણસો જેટલા ખલાસીઓ હોવાનું કહેવાય છે. મહારાષ્ટ્રના ખલાસી ઓને નારગોલ બંદરે ઉતારવા દેવામાં આવ્યા ન હતા. વધુમાં ચાલતી ચર્ચા મુજબ હજુ બીજી પણ ઘણી બોટ સૌરાષ્ટ્રથી ખલાસીઓને લઈને ઉમરગામમાં આવે તેવી શક્યતા જોતાં સ્થાનિક માછીમારોમાં ભારે ઉચાટ વર્તાઈ રહ્યો છે.