વલસાડ, 27 મે : એક તરફ ઉનાળો શરૂ થયો છે,ત્યારે લોકોને પીવાના પાણીની સમસ્યા ઉદભવી રહી છે.ખેડૂતોના પિયત માટે જીવદોરી સમાન બનેલી કાંકરાપાર નહેર,જે વલસાડના ગુંદલાવ અને નંદાવલા ગામની વચ્ચેથી પસાર થાય છે.તે નહેરમાંથી સીધી જ પાણીની ચોરી થઈ રહી છે.કેટલાક તત્વો દ્વારા નહેરમાં પાઇપ મૂકી ટેન્કરો અને ટ્રેલરો ભરવામાં આવી રહ્યા છે.ઉનાળામાં જ્યાં ખેડૂતોને પીવાનું પાણી મળવાના ફાંફા છે.ત્યારે,કાંકરા પાર નહેરએ ખેડૂતની ખેતી માટે જીવાદોરી સમાન બની રહી છે પરંતુ એ નહેરમાં પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચે એ પહેલાં જ કેટલાક તત્વો દ્વારા નહેર પર ટેન્કરો મૂકી પાણી મશીન વડે ચોરી કરી લેવામાં આવે છે.આખું વર્ષ ખેતી કરીને પોતાની રોજી મેળવતા ખેડૂતો માટે ખેતરમાં પાણી મૂકવું ખૂબ જરૂરી છે.પરંતુ કાંકરાપારની નહેરમાંથી પાણી ખેતર સુધી પહોંચે તે પહેલાં જ કેટલાક તત્વો દ્વારા આ પાણીની ચોરી શહેરમાંથી કરવામાં આવી રહી છે.આ સમગ્ર બાબતે અનેકવાર રજૂઆતો પણ કરાઇ છે.પરંતુ તેનું પરિણામ શૂન્ય જ આવ્યું છે.ખેડૂતોનું માનવું છે કે,નહેરમાંથી ચોરી કરનારા તત્વો બિન્દાસ પણે પોતાના વાહનો લાવીને નહેરમાં પાઈપ મૂકીને મોટર દ્વારા ચોરી કરી રહ્યા છે.શું આ સમગ્ર બાબતની નહેર ખાતાને જાણકારી નહીં હોય કે પછી નહેર ખાતાના અધિકારીઓ જ તેઓને છાવરી રહ્યા છે! આવા અનેક સવાલો નહેર ખાતા સામે ઊઠી રહ્યા છે.દર પંદર દિવસે આવતા પાણીના જથ્થા ખેડૂતો સુધી પહોંચે તે પહેલાં જ ટેન્કરોના માધ્યમથી સગેવગે થઈ જાય છે.જેથી ખેડૂતોના ખેતરમાં પાણી પહોંચતુ નથી.ખેડૂતોની ખેતી પાણી વિના જ રહી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.વલસાડ તાલુકાના અટગામથી લઈને છેક નંદાવલા સુધી નહેરમાં આવતા પાણીની કેટલાક તત્વો દ્વારા બિન્દાસ ચોરી કરવામાં આવી રહી છે.ખેડૂતોની માગ છે કે,આવા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે આ સમગ્ર બાબતે નહેર ખાતાના અધિકારીને વારંવાર ખેડૂતો દ્વારા મૌખિક રજુઆત કરવામાં આવી છે.પણ તમામ ફરિયાદો તંત્રના બહેરા કાને અથડાઈને પરત થઈ છે.નોંધનીય છે કે,ખેડૂતો દ્વારા મૌખિક રજૂઆતો શહેર વિભાગના અધિકારીઓને કરાઈ છે.પરંતુ હજુ સુધી આ કોઈપણ રજૂઆતોનો નિરાકરણ આવ્યું નથી.જોકે આ બાબતે જ્યારે નહેર વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરી તો,તેમણે જણાવ્યું કે,ખેડૂતો માત્ર મૌખિક રજૂઆત લઈને આવે છે.લેખિતમાં રજૂઆત કરતા નથી. જેના કારણે ક્યાં કોણ અને કેવી રીતે પાણી લઈ જાય છે,તે જાણી શકવુ ખૂબ જ મુશ્કેલ હોય છે.જો કોઈ ખેડૂત લેખિત રજૂઆત કરશે તો,કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.