સુરત : ધોધમાર વરસાદની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં સરેરાશ ૩.૬ ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા.સૌથી વધુ વલસાડમાં ૮ ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. વલસાડના મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીથી ભરાઇ જતા ૪૦ ગામોના લોકોને અસર થઇ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં છ કલાકમાં ૬.૫ ઇંચ વરસાદ વરસ્યો હતો.
વલસાડ જીલ્લામાં ગઈકાલે બુધવારે સાંજથી મુશળધાર વરસાદ શરૃ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.બુધવારે સાંજે ૪ વાગ્યાથી આજે ગુરૃવારે સાંજે ૪ વાગ્યા સુધી પૂર્ણ થતાં ૨૪ કલાકમાં જીલ્લામાં સરેરાશ ૩.૬ ઈંચ વરસાદ પડયો હતો.જીલ્લામાં સૌથી વધુ વલસાડમાં ૮ ઈંચ વરસાદ પડયો હતો.વલસાડમાં માત્ર છ કલાકમાં જ ભારે વરસાદ પડતા અનેક વિસ્તાર તળાવમાં રૃપાંતરિત થયા હતા.સાથે જનજીવન પણ પ્રભાવિત થયું હતું.મોગરાવાડી અને છીપવાડ ગરનાળું પાણીથી ભરાઇ ગયું હતું.જેને લીધે આસપાસના ૪૦ ગામોના લોકોને શહેરમાં પ્રવેશમાં મુશ્કેલી નડી હતી.લોકોએ ૧૦થી ૧૫ કિલોમીટર સુધી ચકરાવો લેવો પડયો હતો.
આ ઉપરાંત જિલ્લાના પારડીમાં ૩.૫ ઈંચ,વાપીમાં ૧.૫ ઈંચ,ધરમપુરમાં ૨ ઈંચ,ઉમરગામ અને કપરાડામાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો.જયારે ગઈકાલે બુધવારે સવારે ૮ વાગ્યાથી આજે ગુરૃવારે સવારે ૮ વાગ્યા સુધીમાં વિતેલા ૨૪ કલાકમાં દમણ અને દમણ અને દા.ન.હવેલીમાં ૧.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.વલસાડ જીલ્લાના મધુબન ડેમની સપાટી સાંજે ૬૯.૩૦ મીટર નોંધાઈ હતી.
જ્યારે સુરત જિલ્લામાં આજે સુરત શહેર અને જિલ્લામાં દેમાર વરસાદની આગાહી કરાઇ હતી.આ આગાહી સાચી પડી હોઇ તેમ સવારથી જ મેઘરાજાની વરસાદી ઇનિગ્સ શરૃ થઇ ગઇ હતી.જેમાં જિલ્લાના ચેંરાપુજી ગણાતા ઉમરપાડા તાલુકામાં સવારે છ વાગ્યાથી બપોરે ૧૨ વાગ્યા સુધીના છ કલાકમાં દેમાર વરસાદ ઝીંકાયો હતો.આ કલાકમાં ઉમરપાડા તાલુકામાં અધધધ સાડા છ ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમછેલ થતા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.
આ સિવાય આજે દિવસના છ વાગ્યાથી લઇને સાંજે છ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં માંગરોળમાં ૩ ઇંચ,કામરેજમાં ૨.૫ ઇંચ,માંડવી,ચોર્યાસી તાલુકામાં ૧-૧ ઇંચ વરસાદ તેમજ ઓલપાડ,પલસાણા,બારડોલીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.સુરત જિલ્લામાં મેઘમહેર જોવા મળતા ખેડુતોમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ હતુ.અને વરસાદ સારો થતા પાક સારો થવાની આશા બંધાઇ હતી.આ ઉપરાંત તાપી,નવસારી,ડાંગ જિલ્લામાં દોઢ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.