વલસાડ : વલસાડના અતુલ નજીક આવેલી પાર નદીના બ્રિજ ઉપરથી નવસારીના યુવકે મોતની છલાંગ લગાવી હોવાની ઘટના સામે આવી છે.જો કે ચંદ્રપુર લાઈફ સેવ ગ્રુપ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને યુવકને બચાવી લેવામાં આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર અતુલ નજીક આવેલા પાર નદીના પુલ ઉપરથી નવસારીના એક યુવકે જંપલાવ્યું હતું.જો કે મોતની છલાંગ લગાવી રહેલા યુવક પર સ્થાનિક લોકોની નજર પડતા ચંદ્રપુર લાઈફ સેવ ગ્રુપને જાણ કરવામાં આવી હતી.જે બાદ ચંદ્રપુરના લાઈફ સેવ ગ્રુપના તરવૈયાઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકને ડૂબતો બચાવી લેવામાં આવ્યો હતો.આટલું જ નહીં, આપઘાત કરવા માંગતા યુવકને ચંદ્રપુર લાઈફ સેવા ગ્રુપ દ્વારા નવસારી તેના ઘરે મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પારી નદી ઉપરના આ બ્રિજ પર અવારનવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલા લેવામાં આવ્યા નથી.સ્થાનિક લોકોએ આવી ઘટનાઓને અટકાવવા માટે બ્રિજ પર સિક્યોરિટી વધારવાની માંગ કરી છે.