બારડોલી : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં સુરત શહેરના 6 જેટલા યુવાનો નાહવા માટે ઉતર્યા હતા જે પૈકી બે યુવાનો પાણીના ઊંડા વહેણમાં તણાયા હતા.ઘટનાની જાણ થતાં બારડોલી તેમજ કામરેજ ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળી રહયું છે.
બારડોલી તાલુકાનાં વાઘેચા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીમાં 6 જેટલા યુવાનો નાહવા માટે ઉતર્યા હતા.જે પૈકી બે યુવાનો ઊંડા પાણીમાં જતાં ડૂબી ગયા હતા.આ યુવાનો સુરત શહેરના ગોડાધરા અને પૂણા કુંભારિયા વિસ્તારના હોય અને ગતરોજ બપોરના સમયે ફરવા માટે વાઘેચા ગામે આવ્યા હતા અને જ્યાં મંદિરની પાછળથી પસાર થતી તાપી નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. 6 યુવાનો પૈકી બે યુવાનો પ્રવીણ ઓમપ્રકાશ જૈન (રહે, પૂણા પાટિયા, સુરત શહેર) તથા પિયુષ સુજારામ ગેહલોત (રહે, ગોડાધરા, સુરત શહેર, મૂળ રહે, રાજસ્થાન) નાઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતાં જ બારડોલી તેમજ કામરેજ ફાયરની ટીમ અને બારડોલી મામલતદાર જીજ્ઞા પરમાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયરની ટીમે શોધખોળ હાથ ધરતા પ્રવીણ જૈનનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે પિયુષ ગેહલોતની શોધખોળ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ યુવકો સગીર વયના હોય અને ફરવા માટે વાઘેચા ખાતે આવ્યા હતા.