સુરત : તા.22 મે 2022 રવિવાર : સુરતમાં ટ્રાફિક થી સૌથી ધમધમતા એવા રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજના રીપેરીંગ માટે પાલિકા તડામાર કામગીરી કરી રહી છે.જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો જુન માસની મધ્યમાં રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજ સાથે સહારા દરવાજા રેલ્વે ઓવર બ્રિજ પણ ખુલ્લો મૂકી દેવામાં આવશે.આ પહેલાં પાલિકાએ 15 જૂને બ્રિજ ખુલ્લો મુકવા માટે જાહેરાત કરી છે પરંતુ આ દિવસે બ્રિજ ખુલ્લો મુકવામાં આવે તેવી શક્યતા ઘણી ઓછી છે.સુરતની જીવાદોરી અને ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા રીંગ રોડ ફ્લાય ઓવર બ્રીજનું લાંબા સમય બાદ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.આ બ્રિજની રીપેરીંગની કામગીરી કઠીન હોવાથી બ્રિજને બંધ કરીને કામગીરી હાથ ધરવામાં આવી છે.હાલ બ્રિજનું રીહેબીલીટેશન અંતર્ગત સુપર સ્ટ્રક્ચર લીફટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે.
આ બ્રિજ રીપેરીંગની કામગીરી શરૂ થતાં 9 માર્ચથી 8 મે સુધી બ્રિજ પર વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જોકે,8 મે સુધી બ્રિજની રીપેરીંગની કામગીરી પૂરી થઈ ન હોવાથી બીજી વાર પાલિકાએ 15 જુન સુધી બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરી છે.
હાલ બ્રિજ વિભાગ દ્વારા આ કામગીરી ને વધુ આક્રમક રીતે કરવામાં આવી રહી છે પરંતુ સુપર સ્ટ્રક્ચર લીફટીંગ સાથે બેરીંગ રિપ્લેસમેન્ટ ની કામગીરી ઘણી જ કઠીન હોય 15 જૂન સુધી આ કામગીરી પુરી થશે કે કેમ તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.દરમિયાન હાલ વરસાદનું આગમન થાય તેવી શક્યતા છે જો વરસાદનું વિઘ્ન ન આવે તો પણ 15 જૂન બાદ જ બ્રિજ ખુલ્લો મુકાશે તેવી શક્યતા છે.જો વરસાદનું વિઘ્ન આવ્યું અને કામગીરી પર માઠી અસર પડે તો જુન માસના છેલ્લા અઠવાડિયામાં બ્રિજ ખુલ્લો મૂકી શકાશે.
આ બ્રિજ સાથે હાલમાં પાલિકાએ સહારા દરવાજા રેલવે ઓવર બ્રિજ બનાવી દીધો છે અને લગભગ મોટા ભાગના કામગીરી પૂરી થઈ ગઈ છે પરંતુ જ્યાં સુધી રીંગ રોડ ફ્લાય ઓવર બ્રિજની કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી સહરા દરવાજા રેલવે ઓવરબ્રિજ પણ ખુલ્લો મૂકી શકાશે નહીં તેથી જુન માસની 15 તારીખ પછી બન્ને બ્રિજ ખુલ્લા મુકાશે.જેના કારણે રીંગરોડ પર થતી ટ્રાફિક સમસ્યાનો મહદ અંશે ઉકેલ આવશે.