વાપી નગરપાલિકામાં કોંટ્રાક્ટ બેઇઝ ઉપર સફાઇ કામ કરતા 300થી વધુ લોકો નાયકવાડ પાણીની ટાંકી પાસે પ્લાસ્ટિકના ઝૂંપડા બનાવીને રહેતા આવ્યા છે.બુધવારે વહેલી સવારે 7થી 8 વચ્ચે એક તમ્બૂમાં સળગાવેલા દીવાના કારણે અચાનક આગ લાગી હતી.પ્લાસ્ટિકમાં આગથી જોર પકડતા આજુબાજુના 30થી વધુ ઝૂંપડામાં આગ પ્રસરાતા થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો.
બનાવની જાણ ફાયરવિભાગને કરતા કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો.જોકે ઝૂંપડાઓ તેમાં બળીને ખાક થઇ ગયા હતા.સદનસીબે આગની જાણ થતાં જ તમામ લોકો ત્યાંથી ભાગી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી.પણ આગમાં તેઓના ઘરના સર-સામાન બળીને ખાક થઇ ગયા હતા.
કોંટ્રાક્ટરે તમ્બૂ બનાવવાની ખાતરી આપી
સ્થળ ઉપર હાજર એક મહિલા સફાઇ કામદારએ જણાવ્યું હતું કે,ઝૂંપડામાં આગ બાદ ફાયર વિભાગની સાથે સફાઇનો કોંટ્રાક્ટર રેડ્ડી પણ ત્યાં આવ્યો હતો.સળગી ગયેલા ભંગારને જેસીબીથી હટાવી માટી પુરાણ કરી તે જ સ્થળ ઉપર તમ્બૂ બનાવીને ઘર બનાવી આપવાની ખાતરી આપી છે. મોડી સાંજ સુધી તે કામગીરી શરૂ કરી દીધા હોવાની માહિતી મળી છે.
કામથી પરત આવતા આગની જાણ થઇ
બુધવારે વહેલી સવારે ઘરથી સફાઇ કામ કરવા નીકળી ગયો હતો.9 વાગે પરત આવ્યો તો ઘર સાથે અંદરના તમામ સામાન બળીને સ્વાહા થઇ ગયા હતા.હાલ ઘરવિહોણા થયા છે.કડકડતી ઠંડીમાં બાળકો સાથે હવે ક્યાં રહીશું તે વિચારીને ખૂબ જ હેરાન છીએ.> સફાઇકર્મી