વલસાડ,28 મે : વાપી વીઆઇએ પ્રમુખ દ્વારા તાજેતરમાં લોકડાઉનને લઇ ઉદ્યોગોને રાહત મળે તે માટે જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને પત્ર લખ્યો છે. પરંતુ આ લેટરથી વિરોધનો સુર ઉઠયો છે.બુધવારે વીઆઇએની ઓનલાઇન ઇસી બેઠકમાં ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડયાએ વીઆઇએ પ્રમુખની રજૂઆત સામે રોષ કરતાં વિવાદ વધુ વકર્યો છે.
લોકડાઉનમાં કંપનીઓમાં ઈટીપી ઓપેરેટરોની ગેરહાજરી હોવાથી વાપીના ઔદ્યોગિક એકમોને ડિસ્ચાર્જના નિયમોમાં રાહત આપવામાં આવે તેવી વીઆઇએ દ્વારા જીપીસીબીના મેમ્બર સેક્રેટરીને કરાયેલી રજુઆતના કારણે ઉદ્યોગકારોમાં રોષ ફેલાયો છે.એકતરફ પ્રદૂષણના મામલે વાપી એસ્ટેટ અને ઉદ્યોગકારો નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં લડત આપી રહ્યા છે.તેવામાં વીઆઈએ દ્વારા કરાયેલી રજુઆત બાદ જો કોઈ ઉદ્યોગ પર તવાઈ આવશે તો તેની જવાબદારી કોની રહેશે તે સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે.
બુધવારે વીઆઈએની સોશિયલ મીડિયાના મિટિંગ પ્લેટફોર્મ પર મળેલી ઈસી મિટિંગમાં પણ આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.વાપી ગ્રીન એન્વાયરોના ડિરેકટર મહેશ પંડ્યાએ આ મુદ્દાને લઈ પોતાનો રોષ પ્રગટ કરતાં જણાવ્યુ હતુ કે જીપીસીબીને કરાયેલી રજુઆત બાદ જો કોઈ એકમ પર એનજીટીનો કોરડો વીંઝાશે તો તેની જવાબદારી વીઆઈએ ઉઠાવશે ? વાપીના ઉદ્યોગોએ એનજીટી પેનલ્ટી રૂપે 115 કરોડ ભરવા પડ્યા છે ત્યારે એડવાઇઝરી કમિટીની ભલામણ બાદ કરાયેલી રજુઆત ઉદ્યોગોની મુસીબત વધારશે.બીજી તરફ વીઆઇએના સુત્રોએ જણાવ્યુ હતુ કે સીઇટીપી મામલે કોઇ રજૂઆત કરવામાં આવી નથી.