નવસારી : ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા શહેરો અને ગામડાઓ અને મોટું નુકસાન થયું છે.ક્યાંક રસ્તાને નુકસાન થયું છે,તો ક્યાંક વૃક્ષો પડી ગયા છે,તો ક્યાંક વીજપોલ ધરાશાયી થયા છે.આ ઉપરાંત ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.સાથે જ આંબા પર રહેલી કેરીઓ પણ ભારે વરસાદ અને પવનના કારણે પડી જતા ખેડૂતો મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.નવસારીમાં નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડયા હોવાની એક ઘટના સામે આવી છે.જો કે, આ ઘટનાની જાણ થતાં લોકો નેતાઓની અને અધિકારીની મદદ દોડી આવ્યા હતા અને તેમને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર તાઉતે વાવાઝોડાને લઈને 18 મેના રોજ રાજ્યમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો.તો વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના પણ માહિતી સામે આવી હતી.નવસારીમાં પણ ભારે વરસાદને લઇને કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઇ જવાની ફરિયાદો ઉઠી હતી.તેથી આ ફરિયાદના નિકાલ માટે અને વિસ્તારની સમીક્ષા કરવા માટે નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ગયા હતા.જ્યારે તેઓ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે એકાએક તેઓ ખુલ્લી ગટરમાં પડ્યા હતા.આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ તાત્કાલિક આ લોકોને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા અને લોકો એકઠા થઈને નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢ્યા હતા.
જ્યારે નવસારી નગરપાલિકાના પ્રમુખને ખુલ્લી ગટરમાં પાડવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ગટરમાં પડવાની વાત નકારી રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ત્યાં ઊભા રહેલા ત્રણ લોકો ગટરમાં પડયા હોવાના કારણે તેઓ તેમને બચાવવા માટે તેમની મદદ કરવા માટે ગટરમાં ઉતર્યા હતા.તે ગટરમાં પડ્યા નહોતા.
ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાના કારણે ઉના,દીવ,કોડીનાર,રાજુલા,જાફરાબાદ સહીતનાં દરિયાઈ પટ્ટામાં આવતા ગામડાંઓમાં ખૂબ જ નુકસાન થયું છે.સાથે જ વાવાઝોડાના કારણે 45 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.