મુંબઇ : કોલ્હાપુર જિલ્લાના હેરવાડ ગામની ગ્રામપંચાયતે વિધવા પ્રથા બંધ કરવાનો ઠરાવ મંજૂર કર્યા બાદ હવે હેરવાડ પેટર્ન અનુસાર સમગ્ર રાજ્યમાં આવા કુરિવાજો પર રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે.સ્ત્રીના પતિના મૃત્યુ બાદ તે ચાંદલો નથી કરી શકતી,તેની બંગડીઓ કે ચૂડલા ભાંગવામાં આવે છે અને કોઇ શુભપ્રસંગે વિધવાની હાજરીને અપશુકન ગણી તેને બને ત્યાં સુધી દૂર રાખવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી આ કુપ્રથાનો ખોળા જેવડા હેરવાડ ગામડાએ ખાતમો બોલીવી અનોખો દાખલો બેસાડયો છે.એટલે હેરવાડનું ઉદાહરણ નજર સામે રાખી તેનું અનુકરણ કરવા માટેનું આહવાન દરેક ગ્રામપંચાયતોને સરકાર તરફથી કરવામાં આવ્યું છે.રાજ્ય સરકારે આ અંગે એક ઔપચારિક આદેશ પણ પ્રગટ કરી દીધો છે.
સરકાર તરફથી પ્રગટ કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ કુરિવાજોના અમલના કારણે માનવ અધિકારોનો ભંગ થાય છે અને મહિલાઓનાં ગૌરવનું હનન થાય છે.આધુનિક સમયમાં આવા કુરિવાજોને કોઈ સ્થાન નથી.મહારાષ્ટ્રના મહિલા અને બાલકલ્યાણ પ્રધાન યશોમતી ઠાકૂરે જણાવ્યું હતું કે હેરવાડ પેટર્નની રાજ્યમાં અમલબજાવણી થાય એ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે એ જોઇ ખરેખર ગર્વની લાગણી થાય છે.વિધવાપ્રથાના અનિષ્ટને નાબૂદ કરવા માટે રાજ્યની દરેક ગ્રામપંચાયતમાં ઠરાવ માંડવામાં આવે એવું આહવાન કરવામાં આવ્યું છે.આ માટે દરેક ગ્રામપંયાચતને સરકાર તરફથી પ્રોત્સાહન આપવામાં આવશે.શિવસેનાના નેતા અને વિધાન-પરિષદના ઉપસભાપતિ નિલમ ગોર્ડુએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રાજ્ય સરકારે અત્યાર સુધી ઉપેક્ષિત રહેલી વિધવાઓને આ કુપ્રથાથી મુક્ત કરવાનો સંદેશ આપ્યો છે.
આ અગાઉ,હેરવાડ ગામના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે વિધવાપ્રથા નાબૂદીનો ઠરાવ કર્યા પછી તેની અમલબજાવણીનો મોટો પડકાર અમારી સામે હતો.હવે ચર્મકાર સમાજ અને ગાયકવાડ કુટુંબીઓએ આ ઐતિહાસિક નિર્ણયની અમલબજાવણીની પહેલ કરીને ઐતિહાસિક ઠરાવને બળ પૂરું પાડયું છે.
વિધવા પ્રથાના કુરિવાજો પર સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રતિબંધ

Leave a Comment