વિધાનસભાના એક દિવસના સત્રમાં રાજ્યપાલના પ્રવચન બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.કોંગ્રેસના ધારાસભ્યને રાજ્યપાલના પ્રવચન પર બોલવા માટે તક ન આપતા કોંગ્રેસના ધારાસભ્યએ હોબાળો કર્યો હતો.જો કે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યને વોક આઉટ કરતા પહેલા રોક્યા હતા.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કોંગ્રેસના ધારાસભ્યને સમજાવતા કહ્યું હતું કે, કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી ન હતી.આ ઉપરાંત કોંગ્રેસ તરફથી બોલવા માટે કોઈના નામ અધ્યક્ષને મળ્યા ન નથી. તેમ છતાં કોંગ્રેસ ધારાસભ્યને યોગ્ય સમય આપવામાં આવશે તેની ખાતરી આપવામાં આવે છે.શંકર ચૌધરીએ વધુમાં કહ્યું હતું કે, હજી તમારા વિપક્ષ નેતા નક્કી થયા નથી.જેથી કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી નથી.પરંતુ વિધાનસભાના નિયમો પ્રમાણે અધ્યક્ષ તરીકે વિપક્ષના સભ્યને બોલવાની તક આપવામાં આવશે.
અધ્યક્ષની ખાતરી છતાં કોંગ્રેસના તમામ ધારાસભ્યએ ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.કોંગ્રેસના સભ્ય શૈલેષ પરમારનું કહેવું હતું કે, કામકાજ સલાહકાર સમિતિની બેઠક માટે અમને કોઈ તરફથી કહેવામાં આવ્યું નથી.સત્તા પક્ષના દંડકની વરણી છતાં દંડક તરફથી અમારી પાસે નામ માંગવામાં આવ્યા નથી.જો ગૃહમાં અપક્ષ સભ્યોને બોલવાની તક ન મળે તો ગૃહની કામગીરીમાં ભાગ લેવો વ્યર્થ છે.