વિપક્ષોની દલાલી બંધ થતા તેઓ રઘવાયા થયા છે : મોદીનો આકરો પ્રહાર

HM News
3 Min Read

પટણા,તા. 23 : બિહારની ધારાસભાની ચૂંટણીમાં ધીમે ધીમે પ્રચારનો રંગ જામી રહ્યો છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પ્રથમ રેલીને સંબોધતા રાજ્યમાં વિકાસથી લઇને કલમ 370 સુધીના મુદે વિપક્ષને આકરા હાથે લેતા આક્ષેપ કર્યો હતો કે યુપીએ સરકારે રાજકીય બદલો લેવા માટે નીતિશ સરકારને 10 વર્ષ કામ કરવા દીધું ન હતું.મોદીએ આજે બિહારમાં ત્રણ રેલીને સંબોધી રહ્યા છે અને તેનો પ્રારંભ સાસારામથી કર્યો છે.

અહીં સોશ્યલ ડીસ્ટન્સ સાથેની વિશાળ સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે એક સમય કે જ્યાં સૂર્યાસ્ત થતા જ બધુ બંધ થઇ જતું હતું અને જનજીવન ઠપ્પ થઇ જતું હતું પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં બિહારમાં આજે માર્ગો છે,વીજળી ઝળહળે છે અને સૌથી મોટુ મહત્વનું એ છે કે બિહારના લોકો ડર વગર જિંદગી જીવી શકે છે. મોદીએ પોતાના પ્રવચનમાં ભોજપુરી ભાષાથી પ્રારંભ કરતાં ‘ભારત કે સન્માન બા બિહાર’ એટલે કે બિહાર એ ભારતનું સન્માન અને સ્વાભિમાનનું પ્રતિક છે તેવું કહ્યું હતું અને બિહાર રેજીમેન્ટના જવાનોએ ગલવાન ઘાટીમાં જે ચાઈનીઝ સેનાનો મુકાબલો કરતાં જે બલિદાન આપ્યું તેને યાદ કર્યા હતા અને શ્રધ્ધાંજલી આપી હતી અને કહ્યું હતું કે પુલવામામાં પણ બિહારના જવાનોએ દેશનું માથુ ઉંચુ રાખ્યું છે.

મોદીએ આ ઉપરાંત દિવંગત નેતા રામવિલાસ પાસવાન અને રઘુવંશ પ્રસાદને યાદ કરીને શ્રધ્ધાંજલી આપી હતી.તથા વિકાસ માટે નિતીશ જરુરી હોવાનું જણાવ્યું હતું.મોદીએ કહ્યું કે રાજદ કે કોંગ્રેસનુંં નામ લીધા વગર વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે જો તેઓ ફરી સતા પર આવશે તો કલમ 370 લાગુ કરી દેશે. મોદીએ સરકારી નોકરી માટે કોમન ટેસ્ટનો પણ ઉલ્લેખ કર્યો હતો તથા રાફેલ સોદા અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધીએ જે રીતે વિરોધ કર્યો હતો તેનો ઉલ્લેખ કરી આક્ષેપ કર્યો હતો કે જ્યારે જ્યારે વચેટીયાઓ અને દલાલોની કમાણી બંધ થઇ જાય છે

ત્યારે તેઓ હડબડાટમાં આવી જાય છે અને ભારતને કમજોર કરવાની કોશિષ કરે છે.તેઓએ રાહુલ પર આડકતરી રીતે દલાલોની ભાષા બોલવાનો આરોપ મૂક્યો હતો.મોદીએ કોરોના કાળમાં નિ:શુલ્ક અનાજ તથા ઉજ્જવલા યોજના હેઠળના ગેસ સીલીન્ડર વગેરેની પણ બિહારી લોકોને યાદ અપાવી હતી અને કૃષિ કાનૂન મુદે પણ વિપક્ષના વલણ પર પ્રહાર કર્યા હતા.

મોદીની રેલીમાં મંચ પર કોરોના પ્રોટોકોલ: પબ્લીકમાં સોશ્યલ ડીસ્ટન્સ નહીં

દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે તે સમયે આજે વડાપ્રધાનની સાસારામ રેલીના મંચ પર કોરોના પ્રોટોકોલ જોવા મળ્યો.મંચ બે સ્ટેજનુંં બનાવાયું હતું અને વડાપ્રધાન મોદી અલગ સ્ટેજ પર હતા અને નિતીશ સહિતના નેતાઓ દો ગજની દૂરી સાથે આ સ્ટેજ પર હતા જયારે અન્ય નેતાઓ બીજા સ્ટેજ પર હતા.આ ઉપરાંત મોદી અને અન્ય માટે માઈક પણ અલગ હતા.તથા તમામ નેતાઓ સામાન્ય રીતે સ્ટેજ પર પહોંચતા એકબીજાને મળે છે પરંતુ તે અહીં જોવા મળ્યું ન હતું. પરંતુ લોકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જળવાયું ન હતું અને સામાન્ય સભા અને રેલીની જેમ જ લોકોને બેસવાની અને ઉભા રહેવાની વ્યવસ્થા હતી જેના કારણે નેતાઓની સલામતીની ચિંતા થતી હોય તેવું જણાતું હતું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *