વિપક્ષો જાસૂસીકાંડના બહાને કોવિડ ચર્ચાથી ભાગી રહ્યા છે : PM મોદી

HM News
3 Min Read

– લોકસભા અને રાજયસભાના પ્રારંભ સાથે જ વિપક્ષોની ધમાલ બાદ બંને ગૃહોનું કામકાજ ખોરવાયુ : સંસદીયદળની બેઠકમાં વડાપ્રધાને કોંગ્રેસને નિશાન બનાવતા કહ્યું કે ત્રણ રાજયોની ચૂંટણીમાં હાર છતાં કોંગ્રેસની ઉંઘ ઉડતી નથી અને ખુદના બદલે ભાજપની ચિંતા વધુ કરે છે : વિપક્ષો પણ આક્રમક : જાસૂસીકાંડ મુદ્દે વધુ એક નોટીસ

નવી દિલ્હી તા.20 : દેશમાં બહાર આવેલા જાસૂસીકાંડના મુદ્દે આજે ફરી એક વખત લોકસભા અને રાજયસભામાં વિપક્ષોની ધમાલ બાદ બંને ગૃહો બપોર સુધી મુલત્વી રહ્યા હતા તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે જાસૂસીકાંડના બહાને વિપક્ષો કોરોનાની ચર્ચાથી ભાગી રહ્યા છે. જાસૂસીકાંડમાં સંસદનું ચોમાસુ સત્ર સતત ધમાલ ભર્યુ રહેશે તેવા સંકેત મળી ગયા છે.

આજે ગૃહમાં વડાપ્રધાન કોવિડ અંગે નિવેદન કરવાના હતાં પરંતુ બંને ગૃહો ચાલુ થયાના ચાર જ મિનિટમાં વિપક્ષોની ધમાલના કારણે મુલત્વી રહ્યા છે.કોંગ્રેસ,તૃણમુલ કોંગ્રેસ,ડાબેરી સહિતના વિપક્ષોએ જાસૂસીકાંડથી લઇ ઇંધણના ભાવ વધારા અને મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરવા માટેના એજન્ડા હાથમાં લીધો છે.આજે 11 વાગ્યે સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ ગઇકાલ જેવી જ ધમાલ શરૂ થતાં ચાર જ મિનિટમાં લોકસભા બપોર સુધી મુલત્વી રહી છે અને રાજયસભામાં એક કલાક મુલત્વી રાખવાની જાહેરાત કરવામાં આવી છે.આજે અનેક મહત્વના મુદ્દાઓ બંને ગૃહોમાં ચર્ચા ઉપર છે.પરંતુ તે હાથ ધરાશે કે કેમ તે પણ પ્રશ્ન છે.

બીજી તરફ આજે સવારે ભાજપની સંસદીય દળની બેઠકને સંબોધીત કરતા વડાપ્રધાને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો અને જણાવ્યુ હતું કે આસામ, કેરળ અને બંગાળમાં કોંગ્રેસ હારી ગઇ છે છતાં તેની ઉંઘ ઉડતી નથી. તે પોતાની ચિંતા કરવાના બદલે આપણી (ભાજપ)ની ચિંતા વધુ કરે છે.મોદીએ એ પણ જણાવ્યું કે જાસૂસીકાંડના મુદ્દે વિપક્ષો સતત જે રીતે ધમાલ કરી રહ્યા છે તેનાથી સદનમાં કોરોના અને વેકસીનેશન મુદ્દે જે ચર્ચા છે તેનાથી ભાગી રહ્યા છે.વડાપ્રધાને એમ પણ કહ્યું કે કોરોના અમારા માટે રાજનીતિ નહી પણ માનવતાનો મુદ્દો છે અને સરકાર ત્રીજી લહેર માટેની ચિંતા કરી રહી છે.

વડાપ્રધાને કોંગ્રેસને વધુ નિશાન બનાવતા કહ્યું કે અગાઉ મહામારી નહી પણ ભૂખમરાથી વધુ લોકો મરતા હતાં.પરંતુ ભાજપ સરકારે તેમ થવા દીધુ નથી.કોંગ્રેસ લગભગ ખત્મ થઇ ગઇ છે.વડાપ્રધાને 24-25 જુલાઇના જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો ઉપર ભાજપના સાંસદોને પહોંચી જવા હાકલ કરી હતી અને લોકોને પુરૂ અનાજ મળે છે કે કેમ તેની ચિંતા કરવા જણાવ્યુ હતું. બીજી તરફ આજે વિપક્ષોએ જાસૂસીકાંડ મુદ્દે ફરી એક વખત નોટીસ આપી છે.આજે વિપક્ષોની સંયુકત એક બેઠક પણ મળી હતી.જેમાં સંસદમાં સરકારને ઘેરવા અંગેની નીતિ અંગે ચર્ચા થઇ હતી.

દેશમાં વેકસીનની કમી નથી : મોદીની જાહેરાત

દેશભરમાં કોરોના વેકસીનની કામગીરીમાં સતત વિઘ્ન આવી રહ્યા છે અને ગુજરાત સહિતની રાજય સરકારો રજાના બહાને વેકસીનેશનમાં ગેપ પાડીને રસીની તંગી છુપાવી રહ્યા છે તે વચ્ચે વડાપ્રધાને આજે એવો દાવો કર્યો હતો કે દેશમાં કોંગ્રેસ ઇરાદા પૂર્વક વેકસીન અંગે નકારાત્મક માહોલ બનાવી રહી છે.જયારે સચ્ચાઇ એ છે કે વેકસીનની કોઇ તંગી નથી.વડાપ્રધાને જણાવ્યુ હતું કે વેકસીનેશનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યુ છે અને આપણે સતત લક્ષ્‍યાંક મુજબ આગળ વધવા પ્રયાસ કરી રહ્યા છીએ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *