રાજ્યના પુર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની મોડીરાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે અને તપાસ એસીબીને સોંપી દીધી છે.આ ઘટનાથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.વિપુલ ચૌધરીના સમર્થનમાં અર્બુદા સેના વિરોધ કરી રહી છે તો બીજી તરફ એસીબી વિપુલ ચૌધરીની કડક પુછપરછ કરી આક્ષેપ આધિન પુરાવા એકત્રિત કરી રહી છે.
વર્ષ 2020માં દૂધ સાગર ડેરીનું સ્પેશિયલ ઓડિટ કરવામાં આવ્યું હતું.આ ઓડિટમાં કેટલીક શંકાસ્પદ બાબતો સામે આવતાં રજીસ્ટ્રાર વિભાગમાં અહેવાલ મોકલાયો હતો.અહેવાલને આધિન શંકાસ્પદ બાબતો અંગે સ્વતંત્ર અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.અહેવાલમાં જે જે મુદ્દા હતા તે તમામ બાબતો પર ઝીણવટભરી તપાસ કર્યા બાદ પ્રાથમિક અહેવાલ સહકાર વિભાગને સુપ્રત કરવામાં આવ્યો.અહેવાલને આધિન જો તથ્યો જણાય તો વિભાગીય અધિકારી પાસે નાણાંકીય બાબત હોય કે પછી ખાતાકીય કે ફોજદારી બાબત હોય તેવા સંજોગોમાં પગલાં લેવાનો અધિકાર છે.આ અધિકાર અન્વયે ફોજદારી વિગતો બહાર આવતાં સહકાર વિભાગના સંયુક્ત રજીસ્ટ્રારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
700 જેટલા મિલ્ક કુલર ખરીદ્યા હતા
વિપુલ ચૌધરીના શાસનમાં વર્ષ 2008થી 2012 દરમિયાન વિવિધ સહકારી મંડળીઓ માટે 700થી વધુ મિલ્ક કુલરની બલ્કમાં ખરીદી કરવામાં આવી હતી.આ મિલ્ક કુલરની ખરીદીમાં રાજ્ય સરકાર 80 ટકા સબસિડી આપતી હતી.કૃષિ વિભાગ દ્વારા સમગ્ર યોજના બહાર પાડવામાં આવી હતી ત્યારે મિલ્ક કુલરની જથ્થાબંધ ખરીદી દરમિયાન વિપુલ ચૌધરીએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ તેમના પર લાગ્યો છે.વિપુલ ચૌધરીએ પોતાના દૂધ સંઘના શાસનકાળ દરમિયાન કરેલા ભ્રષ્ટાચારની રકમને સેટ કરવા માટે અલગ અલગ 25 કરતાં વધુ બોગસ કંપની બનાવી હોવાની માહિતી એસીબી તરફથી પ્રાપ્ત થઈ રહી છે.આ બોગસ કંપની બનાવવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો હોવાની જાણકારી મળી રહી છે.વિપુલ ચૌધરીએ બનાવેલી બોગસ કંપનીના બોગસ એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.આ બોગસ એકાઉન્ટ ખોલવા માટે તેમણે બોગસ દસ્તાવેજોનો પણ ઉપયોગ કર્યો હતો.બોગસ એકાઉન્ટ ખૂલ્યા બાદ ભ્રષ્ટાચારની તમામ રકમ આ જુદાજુદા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાની વિગત એસીબી મારફતે પ્રાપ્ત થઈ રહી છે.