મુંબઇ : ક્રૂડ ઓઇલ મોંઘુ થતા વિમાન ઇંધણની કિંમત સતત નવી ઉંચાઇએ પહોંચી રહી છે.ભારતમાં સરકારે ગુરુવારે એવિએશન ટર્બાઇલ ફ્યૂઅલ(એટીએફ)એટલે કે વિમાન ઇંધણની કિંમત ૧૬.૩ ટકા વધારીને રૂ.૧.૪૧ લાખ પ્રતિ કિલોલીટર કરી છે,જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે.વિમાન ઇંધણ મોંઘુ થતા એરલાઇન્સ કંપનીઓનો સંચાલન ખર્ચ વધ્યો છે અને તેના પરિણામે ફ્લાઇટ ટિકિટના દર વધારી રહી છે.એરલાઇન્સ કંપનીઓના કુલ ખર્ચમાં એટીએફ ખર્ચનો હિસ્સો ૪૦ ટકા હોય છે.જૂન ૨૦૨૧ બાદથી અત્યાર સુધીમાં વિમાન ઇંધણની કિંમતમાં ૧૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે.
ખાનગી ક્ષેત્રની એરલાઇન્સ કંપની સ્પાઇસ જેટે વિમાન ભાડાંમાં ૧૫ ટકા સુધીનો વધારો થવાના સંકેત આપ્યા છે.કંપનીના વડાએ જણાવ્યુ કે,એટીએફની કિંમતમાં અસહ્ય વધારો અને રૂપિયાના મૂલ્યમાં ધોવાણને પગલે હવે વિમાન ટિકિટના દર વધારવા સિવાય અમારી પાસે અન્ય કોઇ વિકલ્પ રહ્યો નથી.સતત ૧૦ વખતના વધારા બાદ ૩ જૂનના રોજ ભાવમાં સામાન્ય ઘટાડો કર્યા બાદ સરકારે ૧૬ જૂને ફરી એવિયેશન ફ્યૂઅલાના ભાવમાં મસમોટા વધારો કર્યો છે.


