ગાંધીનગર : ગુજરાતના ગૃહરાજ્યમંત્રી દ્વારા આજે પાકિસ્તાનથી આવી રહેલા હિન્દુઓ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનથી સ્થળાંતરિત થઈ આવતા હિન્દુઓને કોઈપણ પ્રકારની તકલીફ નહી થાય અને તેમનો વાળ પણ વાંકો ન થાય તે માટે રાજય સરકાર કટિબધ્ધ છે.તેમને કોઇ પણ મુશ્કેલી ન પડે અને સરળતાથી રાજ્યમાં સેટ થઇ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.રાજ્ય સરકાર આ કામ માટે કટિબદ્ધ છે.
સ્થળાંતરિત થઇને રાજયમાં આવેલા પાકિસ્તાની હિન્દુ નાગરિકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.જેમાં પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ૧૯૪૭ થી ભયંકર યાતનાઓનો ભોગ બનેલા હિન્દુ,શીખ,બૌદ્ધ, જૈન,પારસી અને ખ્રિસ્તી સહીતના લઘુમતીઓના અસ્તિત્વ માટે CAAનો કાયદો સંજીવની સમાન હોવાનું તેમણે જણાવ્યું હતું.તેમના આશ્રય માટે સરકાર કટિબદ્ધ હોવાની નેમ પણ વ્યક્ત કરી હતી.
સ્થળાંતરિતોના બાળકોને પ્રવેશની શિક્ષણની સુવિધા સહિત મફત શિક્ષા,મફત રાશન,આધારકાર્ડ,વર્ક પરમિટ,લોગ ટર્મ વીઝાની સુવિધાઓ સત્વરે પુરી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ૨૦૧૪ પહેલા પાકીસ્તાનથી સ્થળાંતરીત થઇને આવેલા નાગરિકોને તેમના પાસપોર્ટ રીન્યુઅલ માટે યોગ્ય નિર્ણય લેવા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી છે.લોંગ ટર્મ વિઝા પર ભારતમાં રહેતા પાકિસ્તાની હિંદુ નાગરિકોને પડતી વ્યવહારીક મુશ્કેલીઓનો સત્વરે નિકાલ કરાશે.પાકિસ્તાની હિન્દુ નાગરિકોને તબીબી સુવિધાઓ પુરી પાડવા અને વેક્સીનેશન માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.