- આજે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોનાના ટ્રેન્ડને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે,વિશ્વના 108 દેશોમાં ઓમિક્રોનના 1.51 લાખથી વધુ કેસ નોંધાયા છે,જ્યારે 26 લોકોના મોત થયા છે. બ્રિટન,અમેરિકા,ઓસ્ટ્રેલિયા,ડેનમાર્ક,નોર્વે,કેનેડા, જર્મની,દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસ સૌથી વધુ છે.વિશ્વમાં 1.5થી 3 દિવસમાં ઓમિક્રોનના કેસ બમણા થઈ રહ્યા છે.
રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે,ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં 358 ઓમિક્રોન કેસ નોંધાયા છે. ઓમિક્રોન સંક્રમણમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા 114 છે.183 ઓમિક્રોન કેસોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે,જેમાંથી 121 વિદેશ પ્રવાસે ગયા હતા.44 વિદેશ ગયા ન હતા પરંતુ તેમના મોટાભાગના સંપર્કો વિદેશ પ્રવાસે ગયા હતા. 183માંથી 87 લોકોએ કોવિડના બંને ડોઝ લીધા હતા.3 લોકોએ ત્રણ ડોઝ લીધા હતા.
તેમણે કહ્યું કે,ભારતમાં બે અઠવાડિયામાં સરેરાશ નવા કેસ 7 હજારની નજીક છે,પરંતુ આપણે સતત જાગૃત રહેવું પડશે. દુનિયાએ કોરોનાની ચાર લહેર જોઇ છે.સપ્ટેમ્બર 2020 અને મે 2021માં ભારતે બે લહેર જોઇ છે.વૈશ્વિક સ્તરે પોઝિટિવિટી રેટ 6 ટકાથી વધુ છે.ભારતમાં તે 5.3 ટકા છે,પરંતુ ગયા અઠવાડિયે ભારતમાં તે 0.6 ટકા હતો.પોઝિટિવિટી રેટ કેરળમાં 6.1 અને મિઝોરમમાં 8.2 ટકા છે,જે ચિંતાજનક છે.
મંત્રાલય અનુસાર,કેરળ,મહારાષ્ટ્ર,તમિલનાડુ,કર્ણાટક,બંગાળ અને મિઝોરમમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે.અમારા માટે ચિંતાનો વિષય કેરળ અને મિઝોરમનો છે.જ્યાં પોઝિટિવિટી રેટ 6%થી વધુ છે.20 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 5%થી વધુ છે.પરંતુ 10% કરતાં ઓછો છે.આ 20 જિલ્લાઓ કેરળ,મિઝોરમ,સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં છે.એવા 2 જિલ્લા છે જ્યાં 10%થી વધુ પોઝિટિવિટી રેટ છે,આ જિલ્લાઓ મિઝોરમમાં છે.